Demonetisation 7 Years: 8 નવેમ્બર 2016નો દિવસ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે 8 વાગ્યે દૂરદર્શન પર આવ્યા અને જાહેરાત કરી કે મધ્યરાત્રિ એટલે કે 12 વાગ્યાથી દેશમાં 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે અને તે કાનૂની ટેન્ડર રહેશે નહીં.  પીએમ મોદીએ 500 અને 2000 રૂપિયાની નવી નોટ આવવાની જાહેરાત પણ કરી હતી. આ નોટબંધીના સમાચાર આવતાની સાથે જ દેશમાં એવી અંધાધૂંધી મચી ગઈ કે સામાન્ય લોકોથી લઈને ખાસ લોકો સુધી દરેક તેની અસરથી પ્રભાવિત થયા, આજે, 8 નવેમ્બર 2023 ના રોજ દેશમાં નોટબંધીના 7 વર્ષ પૂર્ણ થયા છે.


2000 રૂપિયાની નવી નોટો પ્રથમ વખત બહાર પડાઇ


પીએમ મોદીની જાહેરાત પછી ભારતીય રિઝર્વ બેન્કે 500 અને 2000 રૂપિયાની નવી નોટો રજૂ કરી જેને 'મહાત્મા ગાંધી નવી સિરીઝ ઓફ નોટ્સ' કહેવામાં આવે છે. દેશમાં સૌપ્રથમવાર 2000 રૂપિની નોટ રજૂ કરવામાં આવી હતી અને આ ગુલાબી રંગની નોટ રજૂ કરવા પાછળનું કારણ સરકારની દલીલ હતી કે આ નોટ મુખ્યત્વે મોટા વ્યવહારો માટે ઉપયોગી થશે અને લોકો માટે સુવિધાજનક રહેશે.


મોદી સરકારે નોટબંધી પાછળ શું કારણ આપ્યું?


કેન્દ્ર સરકારે કહ્યું કે આ નિર્ણય 500 અને 1000 રૂપિયાની નકલી નોટોને રોકવા અને દેશમાં બ્લેક મનીને રોકવા માટે લેવામાં આવ્યો છે. તેમજ આ પગલું આતંકવાદ સામે નકલી નોટોને રોકવા માટે સરકારનું હથિયાર બનશે. પીએમ મોદીની સત્તાવાર જાહેરાત બાદ રિઝર્વ બેન્કના તત્કાલિન ગવર્નર ઉર્જિત પટેલ અને આર્થિક બાબતોના સચિવ શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે 2011 અને 2016ની વચ્ચે દેશમાં તમામ મૂલ્યોની નોટોના સપ્લાયમાં 40 ટકાનો વધારો થયો છે. તેમાંથી આ સમયગાળા દરમિયાન 500 રૂપિયા અને 1000 રૂપિયાની નકલી નોટોમાં અનુક્રમે 76 ટકા અને 109 ટકાનો વધારો થયો છે. આ નકલી રોકડનો ઉપયોગ ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓમાં થતો હતો, તેથી નોટોને ચલણમાંથી હટાવવાનો સરકારનો નિર્ણય યોગ્ય છે.


આરબીઆઈએ 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી દૂર કરવાની જાહેરાત કરી હતી, જેને મિની નોટબંધી કહેવામાં આવે છે.


19 મે, 2023 ના રોજ ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે અચાનક 2000 રૂપિયાની નોટને ચલણમાંથી હટાવવાના નિર્ણયની જાહેરાત કરી. આ સમાચાર સાથે લોકોએ 8 નવેમ્બર, 2016 ના રોજ મોદી સરકારની નોટબંધી યાદ આવી ગઇ અને આ પગલાને મિની ડિમોનેટાઇઝેશન પણ કહેવામાં આવ્યું. જો કે, આરબીઆઈએ દેશના લોકોને 23 મેથી 30 સપ્ટેમ્બર વચ્ચેનો સમય આપ્યો હતો, જે દરમિયાન તેમને કોઈપણ બેન્કમાં જઈને 2000 રૂપિયાની નોટ જમા કરાવવા અને બદલવાની સુવિધા આપવામાં આવી હતી. 2000 રૂપિયાની નોટ બદલવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થયા પછી સેન્ટ્રલ બેંકે તેની સમયમર્યાદા 7 ઓક્ટોબર 2023 સુધી લંબાવી હતી. આ પછી પણ જે લોકો કોઈ કારણસર 2,000ની નોટ જમા કરાવી શક્યા નથી તેઓને RBIની 19 પ્રાદેશિક કચેરીઓમાં જઈને અથવા ભારતીય પોસ્ટ દ્વારા નોટો જમા કરાવવાની સુવિધા આપવામાં આવી રહી છે.


સરકારના નવા અને જૂના બંને નિર્ણયોએ ચિત્ર બદલી નાખ્યું


નોટબંધીના નિર્ણય હેઠળ સરકારે એક જ ઝાટકે દેશની 86 ટકા કરન્સી ચલણમાંથી બહાર કાઢી લીધી. લોકો પાસે તેમની જૂની નોટો બદલવા અને નવી નોટો મેળવવા બેંન્કોની બહાર લાઇનોમાં ઉભા રહેવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2016ના ડિમોનેટાઈઝેશન દરમિયાન બેન્કોની બહાર લાઇનોમાં ઉભા રહીને કુલ 100 લોકોના મોત થયા હતા, જેના આધારે વિપક્ષે સરકાર પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે આ પગલું ખોટું છે અને સરકાર મનસ્વી રીતે કામ કરી રહી છે. જો કે તે સમયે અહેવાલો અનુસાર, દેશની જનતાએ તેમની ચિંતા વ્યક્ત કરી હતી પરંતુ આ નિર્ણયમાં કેન્દ્ર સરકારને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે તેઓ કાળા નાણા અને નકલી નોટો સામેની આ લડાઈમાં સરકારની સાથે છે.


2016 ના નોટબંધી પછી લોકોએ તેમની 500 અને 1000 રૂપિયાની નોટો બદલવા અને તેમના ખાતામાં જમા કરાવવા માટે બેન્કો તરફ વળવું પડ્યું. સરકારે નોટો જમા કરાવવા અને બદલવાની કેટલીક મર્યાદાઓ નક્કી કરી હોવાથી લોકોને તેમની પાસે રહેલા નાણાં બેન્કોમાં સોંપવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ સમયે મીડિયા દરરોજ બેન્કોની બહાર ભારે ભીડ અને સામાન્ય લોકોની લાંબી લાઈનોના ચિત્રોથી ભરાઈ ગયું હતું. ઘણા અહેવાલો એવા પણ આવ્યા કે કેટલાક લોકોએ લાઈનોમાં રાહ જોતા પોતાનો જીવ ગુમાવ્યો. જો કે, કેન્દ્ર સરકાર તરફથી નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ આ વર્ષે માર્ચમાં સંસદમાં કહ્યું હતું કે, સરકાર પાસે આના કારણે કેટલા લોકોના મોત થયા તેનો કોઈ ડેટા નથી. નવાઈની વાત એ છે કે ડિસેમ્બર 2016માં તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ સંસદમાં જ માહિતી આપી હતી કે વામાં આવી હતી કે નોટબંધીના સમયગાળા દરમિયાન એક ગ્રાહક અને 3 બેંક સ્ટાફ સભ્યો સહિત 4 લોકોના મોત થયા હતા. મૃતકોના પરિવારજનોને 44,06869 રૂપિયાનું વળતર આપવામાં આવ્યું છે.


સુપ્રીમ કોર્ટે 2016ની નોટબંધીને અયોગ્ય ગણાવી નથી


કેન્દ્ર સરકારના 2016ના ડિમોનેટાઇઝેશનના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી હતી અને 7 વર્ષથી અલગ-અલગ બાબતો પર સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલ્યા હતા. જો કે, તે જ વર્ષે એટલે કે જાન્યુઆરી 2023 માં સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો અને કહ્યું કે 2016 માં 500 અને 1000 રૂપિયાની સિરીઝની નોટોની નોટબંધીનો કેન્દ્ર સરકારના નિર્ણયને અયોગ્ય ગણી શકાય નહીં.


2016ના ડિમોનેટાઇઝેશન અને 2023ના મિનિ ડિમોનેટાઇઝેશન વચ્ચેનો તફાવત


8 નવેમ્બર, 2016ના ડિમોનેટાઇઝેશન અને આ વર્ષે 19 મે, 2023ના રોજ રૂ. 2000ની નોટોના મિની ડિમોનેટાઇઝેશન વચ્ચે ઘણા તફાવત છે. વર્ષ 2016 માં નોટબંધીની જાહેરાતની રાત્રે 500 અને 1000 રૂપિયાની નોટોની કાનૂની માન્યતા સમાપ્ત થઈ ગઈ હતી, જ્યારે 2000 રૂપિયાની નોટ હજુ પણ કાનૂની ટેન્ડર તરીકે રહે છે.વર્ષ 2016માં નાબૂદ કરવામાં આવેલી નોટો ભારતમાં તત્કાલિન વર્તમાન ચલણના 86 ટકા હિસ્સો ધરાવે છે. જો કે, મે 2023માં બંધ કરવામાં આવેલી 2000 રૂપિયાની નોટો દેશમાં ફરતા કુલ ચલણના માત્ર 11 ટકા હતી.


વર્ષ 2016માં 500 અને 1000 રૂપિયાની લગભગ 21 અબજ નોટો બદલી કે જમા કરવામાં આવી હતી. 2023માં અત્યાર સુધીમાં 2000 રૂપિયાની માત્ર 1.78 અબજ નોટો જ જમા અથવા બદલી શકાઈ છે. ચલણના કદમાં આટલો મોટો તફાવત બંને પ્રકારના નિર્ણયોને અલગ રીતે રજૂ કરે છે.


વર્ષ 2016માં 500 અને 1000 રૂપિયાની નોટો બદલવા માટે કુલ 52 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. આ વખતે 2000 રૂપિયાની નોટ બદલવા માટે લગભગ 140 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. હવે પણ બાકીના લોકો RBIમાં 2000 રૂપિયાની નોટ જમા અથવા બદલી શકશે.