નવી દિલ્હીઃ જો તમારી પાસે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), નેશનલ પેન્શન સ્કીમ (NPS) અથવા સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)નું ખાતું છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે આ નાણાકીય વર્ષમાં આમાંથી કોઈપણ ખાતામાં પૈસા જમા કરાવ્યા નથી, તો તરત જ કેટલાક પૈસા જમા કરાવો. જો તમે આવું નહીં કરો તો તમારું એકાઉન્ટ નિષ્ક્રિય થઈ જશે. અને એકવાર એકાઉન્ટ નિષ્ક્રિય થઈ જાય, પછી તેને ફરીથી સક્રિય કરવા માટે દંડ ચૂકવવો પડશે.


PPF માં લઘુતમ રકમ કેટલી છે


નાણાકીય વર્ષમાં પીપીએફ ખાતા માટે લઘુત્તમ વાર્ષિક યોગદાન રૂ 500 છે. વર્તમાન નાણાકીય વર્ષ માટે આ યોગદાન આપવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2022 છે.


જો લઘુત્તમ ડિપોઝિટ ન કરવામાં આવે તો શું થશે?


જો તમે 31મી માર્ચ સુધીમાં લઘુતમ રકમ જમા કરાવવામાં નિષ્ફળ થશો, તો તમારે દર વર્ષે 50 રૂપિયાનો દંડ ભરવો પડશે. તમારે 500 રૂપિયાની લઘુતમ ડિપોઝિટ રકમ સાથે દર વર્ષે વધારાના 50 રૂપિયા ચૂકવવા પડશે. મતલબ જો તમે બે વર્ષ સુધી પૈસા નહીં ચૂકવો તો ત્રીજા વર્ષે તમારે બે વર્ષ માટે 500+500 રૂપિયા અને તેની સાથે બે વર્ષ માટે 50+50 રૂપિયાનો દંડ ભરવો પડશે.


એનપીએસમાં લઘુતમ રકમ


ટિયર-1 NPS ખાતાધારકો માટે, વર્તમાન નિયમો મુજબ, ખાતાને સક્રિય રાખવા માટે નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા રૂ. 1,000નું યોગદાન આપવું ફરજિયાત છે.


જો NPS ટિયર-1 ખાતામાં લઘુત્તમ યોગદાન આપવામાં નહીં આવે, તો ખાતું નિષ્ક્રિય થઈ જશે. નિષ્ક્રિય NPS એકાઉન્ટને ફરીથી સક્રિય કરવા માટે તમારે લઘુત્તમ યોગદાન સાથે દર વર્ષે 100 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે. NPS એકાઉન્ટને અનફ્રીઝ કરવા માટે પોઈન્ટ ઓફ પ્રેઝન્સ (POP) ચાર્જ પણ ઉમેરવામાં આવશે.


સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ સ્કીમ


સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટને સક્રિય રાખવા માટે નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછી 250 રૂપિયાની ડિપોઝિટ જરૂરી છે. જો કોઈપણ નાણાકીય વર્ષમાં લઘુતમ રકમ જમા કરવામાં ન આવે, તો તેને ડિફોલ્ટ એકાઉન્ટ તરીકે ગણવામાં આવશે.


SSY ખાતું ખોલવાની તારીખથી 15 વર્ષ પૂરા થાય તે પહેલાં ડિફોલ્ટ એકાઉન્ટને પુનર્જીવિત કરી શકાય છે. એકાઉન્ટ એક્ટિવેટ કરવા માટે તમારે દરેક ડિફોલ્ટ વર્ષ માટે 50 રૂપિયાની પેનલ્ટી સાથે 250 રૂપિયાનું લઘુતમ યોગદાન આપવું પડશે.