નવી દિલ્હીઃ મકાન ખરીદવાનું વિચારી રહેલા લોકો માટે એસબીઆએ મોટી ભેટ આપી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત કરી છે. એસબીઆઈએ સિબિલ સ્કોરના આધારે હોમ લોનના વ્યાજ દરમાં 70 બેસિસ પોઈન્ટ એટલે કે 0.7 ટકાના ઘટાડાની જાહેરાત કરી છે. તેનાથી એસબીઆઈની હોમ લોન લઘુતમ 6.7ના વ્યાજ દરે મળશે.


સ્ટેટ બેંકે એ પણ કહ્યું છે કે, આ દર માત્ર 31 માર્ચ, 2021 સુધી જ માન્ય રહેશે. એટલું જ નહીં એસબીઆઈએ 31 માર્ચ સુધી 100 ટકા પ્રોસેસિંગ ફી માફ કરવાની જાહેરાત કરી છે. બેંકે એ પણ કહ્યું છે કે, જેમનો સિબિલ સ્કોર સારો હશે તેમને આ ઓછા દરની લોનનો લાભ મળશે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ કહ્યું કે, “એસબીઆઈનું એ માનવું છે કે જે ગ્રાહકોનો સારી પેમેન્ટ હિસ્ટ્રી છે તેમને ઓછા દર પર લોન આપવામાં આવશે. હોમ ફાઈનાન્સમાં એસબીઆઈ સૌથી આગળ છે. હાલની ઓફર સાથે ગ્રાહકો માટે લોન લેવી ઘણી વાજબી રહેશે કારણ કે તેના કારણે હપ્તો ઘટી જશે.”