નવી દિલ્હીઃ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. દેશમાં 320 વધારે લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. આ દરમિયાન આર્થિક મોરચા પર કોરોના વાયરસ આગમાં ઘીનું કામ કરી રહ્યો છે. કોરોનાના કારણે વૈશ્વિક મંદી પણ આવી શકે તેવું ચિત્ર હાલ ઉપસી રહ્યું છે.


આર્થિક બાબતોના જાણકાર અને ચીફ ગ્લોબલ સ્ટ્રટેજિસ્ટ રૂચિર શર્માએ કહ્યું, કોરનાના કારણે 2008માં આવેલી મંદી જેવી હાલત બની રહી છે. વૈશ્વિક મંદી આવી શકે છે. જો એક મહિનામાં કોરોના વાયરસ પર નિયંત્રણ મેળવવામાં નહીં આવે તો 2008-09 જેવી વૈશ્વિક આર્થિક મંદી આવશે. તેનાથી ગ્લોબલ ઇકોનોમી ખરાબ થઈ જશે.


કોરોના સંકટના કારણે ગ્લોબલ ઇકોનોમી ત્રણ થી ચાર ટકાના દરે ચાલી રહી હતી પરંતુ હવે તેમાં એક ટકાનો ઘટાડો થવો નિશ્ચિત છે. જો તેમાં થોડો વધારે ઘટાડો થશે તો તેની સીધી અસર ભારતના આર્થિક વિકાસ પર પણ પડશે.


પહેલા પણ ભારતને 6.5 ટકાના વિકાસ દરથી આગળ વધવાનું મુશ્કેલ હતું પરંતુ હવે કોરોનાના મારથી ગ્લોબલ ઇકોનોમી ગબડવાના કારણે સ્થિત વધુ ખરાબ થઈ ગઈ છે.


સમગ્ર વિશ્વમાં 180થી વધારે દેશો કોરોના વાયરસના સંકટ સામે ઝઝૂમી રહ્યા છે. આ સંક્રમણના કારણે અત્યાર સુધીમાં 12,000થી વધુ મોત થઈ ચુક્યા છે.