નવી દિલ્હી: જ્યારે પણ તેમ સોના-ચાંદી ઘરેણાં ખરીદવા જાવ છો ત્યારે ખાસ ધ્યાન રાખો છો કે તે નકલી તો નથી અથવા તો તમે જેટલા કેરેટની કિંમત ચૂકવી છે અસલમાં તે સોનુ તેટલી ગુણવત્તાનું છે કે નહી.  1 જાન્યુઆરીથી સોનાનાં ઘરેણાં ખરીદવાનો નિયમ બદલાઈ જશે. લાંબો સમય રાહ જોયા બાદ કન્ઝ્યૂમર અફેર્સ મંત્રાલયે સોના-ચાંદીના દાગીનાના હૉલમાર્કિંગને મંજૂરી આપી દીધી છે. એટલે કે 1 જાન્યુઆરી 2020થી દેશમાં માત્ર હોલમાર્કવાળા સાના-ચાંદીના દાગીના જ મળશે.


કન્ઝ્યૂમર અફેર્સ મંત્રાલય આ સપ્તાહે આ અંગે નોટિફિકેશન જાહેર કરી શકે છે. જોકે, ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોમાં હૉલમાર્કિંગ લાગુ કરવા માટે એક વર્ષનો સમય આપવામાં આવશે. સરકારના આ નિર્ણયથી જ્વલેરી ઉદ્યોગ પર મોટી અસર જોવા મળશે. પણ ગ્રાહકોને તેનાથી ફાયદો પણ થશે. અત્યારે માત્ર 40 ટકા દાગીનાને જ હૉલમાર્કિંગ કરવામાં આવે છે.

ભારત સૌથી વધુ સોનું ઈમ્પોર્ટ કરતો દેશ છે, જે મુખ્ય રીતે જ્વેલરી ઉદ્યોગની જરૂરિયાતને પૂરી કરે છે. ભારત દર વર્ષે 700-800 ટન સોનું ઈમ્પોર્ટ કરે છે.