નવી દિલ્હીઃ લોકડાઉનના કારણે લોકો બેંકના કામ માટે પણ બહાર નીકળતા ડરી રહ્યા છે તેવા સંજોગોમાં દેશની અગ્રણી ખાનગી બેંક એચડીએફસીએ ગ્રાહકોને બે ખાસ ભેટ આપી છે. જેમાં પ્રથમ બેંક ગ્રાહક ઘરે બેઠા કેશ મેળવી શકશે અને બીજી લોન લેનારા ગ્રાહકોએ ઓછો ઈએમઆઈ ચુકવવો પડશે.


બેંકના ગ્રાહકોએ રૂપિયા ઉપાડવા માટે એટીએમ મશીનમાં જવાની જરૂર નહીં પડે. ઘરની બહાર જ આ સુવિધા મળશે. જે માટે બેંકે દેશભરમાં મોબાઇલ એટીએમની વ્યવસ્થા કરી છે. આ સુવિધા દ્વારા હવે ગ્રાહકો તેમના ઘરના દરવાજા પર ઉભેલી એટીએમ વાનથી કેશ ઉપાડી શકશે. એટીએમ વાન ક્યાં ઉભી રહેશે તેનો ફેંસલો જે તે રાજ્યના નગરપાલિકા સાથે વાતચીત કર્યા બાદ લેવામાં આવશે.

એચડીએફસી બેંકે લોન પર વ્યાજ 0.20 ટકા ઘટાડ્યું છે. આ ઘટાડા બાદ એક દિવસ માટે એમસીએલઆર 7.60 ટકા અને એક વર્ષ માટે 7.95 ટકા રહેશે. મોટાભાગના ઋણનો સંબંધ એક વર્ષના એમસીએલઆર સાથે હોય છે. જેના કારણે જે લોકોની પહેલાથી લોન ચાલી રહી છે તેમનો ઈએમઆઈ પણ ઘટશે.