નવી દિલ્હીઃ એચડીએફસીએ હોમ લોન ગ્રાહકોને ખુશખબર આપ્યા છે. એચડીએફસી તરફથી હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તેનો લાભ એચડીએફસીના ગ્રાહકોને મળશે. એચડીએફસીએ હાઉસિંગ લોન પર પોતાના રિટેલ પ્રાઈમ લેન્ડિંગ રેટ (આરપીએલઆર)માં ઘટાડો કર્યો છે.


એચડીએફસીએ રિટેલ પ્રાઈમ લેન્ડિંગ રેટમાં 5 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આ 4 માર્ચ 2021થી લાગુ થશે. આ ઘટાડા બાદ એચડીએફસીમાં હોમ લોનનો નીચામાં નીચો વ્યાજ દર 6.75 ટકા થઈ જશે. જ્યારે આ ઘટાડાનો લાભ એચડીએફસીના તમામ રિટેલ હોમ લોન ગ્રાહકોને મળશે.

એસબીઆઈએ પણ કર્યો ઘટાડો

આ પહેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત કરી હતી. એસબીઆઈએ સિબિલ સ્કોરના આધારે હોમ લોનના વ્યાજ દરમાં 70 બેસિસ પોઈન્ટ એટલે કે 0.7 ટકાના ઘટાડાની જાહેરાત કરી હતી. તેનાથી એસબીઆઈની હોમ લોન લઘુતમ 6.7ના વ્યાજ દરે મળશે.

સ્ટેટ બેંકે એ પણ કહ્યું હતું કે, આ દર માત્ર 31 માર્ચ, 2021 સુધી જ માન્ય રહેશે. એટલું જ નહીં એસબીઆઈએ 31 માર્ચ સુધી 100 ટકા પ્રોસેસિંગ ફી માફ કરવાની જાહેરાત કરી છે. બેંકે એ પણ કહ્યું છે કે, જેમનો સિબિલ સ્કોર સારો હશે તેમને આ ઓછા દરની લોનનો લાભ મળશે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ કહ્યું કે, “એસબીઆઈનું એ માનવું છે કે જે ગ્રાહકોનો સારી પેમેન્ટ હિસ્ટ્રી છે તેમને ઓછા દર પર લોન આપવામાં આવશે. હોમ ફાઈનાન્સમાં એસબીઆઈ સૌથી આગળ છે. હાલની ઓફર સાથે ગ્રાહકો માટે લોન લેવી ઘણી વાજબી રહેશે કારણ કે તેના કારણે હપ્તો ઘટી જશે.”

કોટક બેંકે વ્યાજ દર ઘટાડ્યા

આ ઉપરાંત કોટક મહિન્દ્રા બેંકે પણ વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત કરી હતી. કોટક મહિન્દ્રા બેંકે હોમ લોનના વ્યાજ દરમાં 0.1 ટકાનો ઘટાડાની જાહેરાત કરી હતી. મર્યાદિત ગાળાના આ ઘટાડા બાદ વ્યાજ દર 6.65 ટકા પર આવી ગયા છે. આ ઘટાડાની સાથે બેંકનો દાવો છે કે તે ગ્રાહકોને બજારમાં સૌથી ઓછા દરે હોમ લોન આપશે. બેંકે કહ્યું કે, ખાસ ઓફર અંતર્ગત ગ્રાહકો 31 માર્ચ સુધી 6.65 ટકાના દરે લોન લઈ શકશે.