બેન્કો ડૂબવાના કારણે મુશ્કેલીમાં મૂકાઈ જતાં લાખો સામાન્ય ડીપોઝિટર્સને હવે કોઈ બેન્ક ડૂબી જતાં મોરેટોરીયમ હેઠળ માત્ર ૯૦ દિવસમાં પાંચ લાખ સુધીનું વળતર મળી જશે. લાખો થાપણદારોને રાહત આપતાં ડીઆઈસીજીસી કાયદામાં સુધારાને કેન્દ્રીય કેબિનેટે બુધવારે મંજૂરી આપી અને હવે આ સુધારા બિલ સંસદમાં રજૂ કરાશે.


ડીઆઇસીજીસી તે સુનિશ્ચિત કરે છે કે કોઈપણ બેન્ક નિષ્ફળ જાય તો તેના ખાતેદારોને તેમના ખાતામાં જમા રકમ પર મહત્તમ પાંચ લાખ રૂપિયા સુધીની રકમ પરત મળે. પહેલા આ રકમ ફક્ત એક લાખ રૂપિયા હતી. આ સંશોધનથી ખાતાધાારકો અને રોકાણકારોના નાણાંને સુરક્ષા મળશે.


સંસદમાં આ બિલ મંજૂર થયા પછી કોઈપણ બેન્ક ડૂબતા વીમા હેઠળ ખાતાધારકોને ૯૦ દિવસની અંદર તેમના નાણાં પરત મળી જશે. નીર્મલા સિતારમણે જણાવ્યું કે આ કાયદાના પરિઘમાં કોમર્શિયલી રીતે કામ કરતી બધી બેન્કોને આવરી લેવાશે, તેમાં ગ્રામીણ બેન્કોનો પણ સમાવેશ થશે.


સાથે જ કહ્યું કે ભારતમાં રૂ. ૧ લાખથી રૂ. ૫ લાખ સુધીના બધા જ ખાતાની ૯૮.૩ ટકા રકમને વીમા હેઠળ આવરી લેવાય છે. આ વીમા કવચ ડીપોઝીટ વેલ્યુના સંદર્ભમાં ૫૦.૯ ટકા જેટલું થાય છે. વૈશ્વિક સ્તરે આ વીમા કવરેજ બધા જ ડિપોઝીટ ખાતાના ૮૦ ટકા જેટલું જ છે. અને ડિપોઝીટ વેલ્યુના સંદર્ભમાં વીમા કવચ ૨૦થી ૩૦ ટકા જેટલું જ છે.


બેંકમાં ડિપોઝીટરની 5 લાખ રૂપિયા સુધીન જમા રકમ પર સુરક્ષા ગેરંટી, ડિપોઝીટ ઈન્સ્યોરન્સ ક્રેડિડ ગેરંટી કોર્પોરેશન તરફથી હોય છે. આ પાંચ લાખ રૂપિયાની લિમિટમાં એક ડિપોઝીટરની એક બેંકની તમામ શાખાઓમાં રહેલા ખાતાઓનો સમાવેશ થાય છે. દરેક ડિપોઝીટરની દરેક બેંકમાં 5 લાખ રૂપિયા સુધીની સુરક્ષિત જમામાં મૂળ રકમ અને વ્યાજ બંને સામેલ હોય છે. ડીઆઈસીજીસી તમામ બેંક ડિપોઝીટ્સને કવર કરે છે. જેમાં કમર્શિયલ બેંક, વિદેશી બેંકોની ભારતમાં આવેલી શાખાઓ, સ્મોલ ફાઈનાન્સ બેંક, કો-ઓપરેટિવ બેંક, પેમેન્ટ્સ બેંક વગેરે બેંક કવર થાય છે.