Indigo Airlines: ઈન્ડિગો એરલાઈન્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો જ્યારે તેના સેંકડો કર્મચારીઓએ બીમારીના બહાને એકસાથે રજા લીધી. જેના કારણે ઘણી ફ્લાઈટ મોડી પડી હતી અને મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એક દિવસમાં આટલી ફ્લાઇટમાં વિલંબ થવાને કારણે ડીજીસીએએ એરલાઇનને તેની પાછળનું કારણ પૂછ્યું, જેના જવાબમાં તેઓએ કહ્યું કે ઘણા કેબિન ક્રૂ મેમ્બર્સ બીમારીના કારણે રજા લઈ ગયા છે. આવી સ્થિતિમાં ફ્લાઈટ્સ ટેકઓફ કરવામાં ઘણો વિલંબ થયો હતો.


કર્મચારીઓમાં બીમારીના બહાને રજા લેવી અને બીજી કંપનીમાં નોકરીના ઈન્ટરવ્યુ માટે જવું સામાન્ય બાબત છે. પરંતુ, ઈન્ડિગો કંપનીમાં બનેલી ઘટના એકદમ ચોંકાવનારી અને રમુજી છે. અહીં એક જ દિવસે સેંકડો કર્મચારીઓએ કોઈને કોઈ બહાનું કાઢીને રજા લીધી હતી. જેના કારણે કંપનીનું કામ પ્રભાવિત થયું હતું. ઈન્ડિગોની 55 ટકા ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શનિવારે મોડી પડી હતી. મળતી માહિતી મુજબ, ક્રૂ મેમ્બર્સ બીમાર હોવાના નામ પર રજા લઈને એર ઈન્ડિયા (AI)માં નોકરીના ઈન્ટરવ્યુ માટે ગયા હતા.


માત્ર 45 ટકા ઉડાન સમય ઓપરેટ થઈ


કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા અનુસાર, શનિવારે ઈન્ડિગોની માત્ર 45 ટકા ફ્લાઈટ્સ સમયસર ઓપરેટ થઈ હતી. 55 ટકા ફ્લાઈટ્સ ગંતવ્ય સ્થાને મોડી પહોંચી હતી. તેની સરખામણીમાં એર ઈન્ડિયા, સ્પાઈસજેટ, વિસ્તારા, ગોફર્સ્ટ અને એર એશિયા ઈન્ડિયાએ શનિવારે અનુક્રમે 77.1 ટકા, 80.4 ટકા, 86.3 ટકા, 88 ટકા અને 92.3 ટકા ફ્લાઇટ્સનું સંચાલન કર્યું હતું.


રજા લઈને કર્મચારીઓની ઇન્ટરવ્યૂ આપવા ગયા


કંપનીના સૂત્રોના જણાવ્યા અનુસાર, મોટી સંખ્યામાં ક્રૂ મેમ્બરોએ માંદગીની રજા લીધી અને એર ઈન્ડિયાની ભરતી ડ્રાઈવ માટે ગયા હતા. એર ઈન્ડિયાની ભરતી ડ્રાઈવનો બીજો તબક્કો શનિવારે હાથ ધરવામાં આવ્યો હતો અને ઈન્ડિગોના મોટાભાગના કેબિન ક્રૂ સભ્યો જેમણે માંદગીની રજા લીધી હતી તેઓ તેમાં ગયા હતા.


કોરોનાના સમયથી પગારમાં કાપ


કોરોના મહામારી દરમિયાન ઈન્ડિગોએ તેના પાઈલટોના પગારમાં 30 ટકા સુધીનો ઘટાડો કર્યો હતો. આ વર્ષે 1 એપ્રિલના રોજ, એરલાઈને પાઈલટોના પગારમાં 8 ટકાનો વધારો કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. જો કોઈ વિક્ષેપ ન થાય તો નવેમ્બરથી 6.5 ટકાનો બીજો વધારો લાગુ કરવામાં આવશે. જો કે, પાઇલોટ્સનો એક વર્ગ અસંતુષ્ટ રહ્યો અને હડતાલનું આયોજન કરવાનો નિર્ણય કર્યો.