Relief From Inflation Likely: નવું વર્ષ 2023ને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. નવું વર્ષ દેશવાસીઓ માટે રાહત લઈને આવનાર છે. કારણ કે નવા વર્ષમાં મોંઘવારીમાંથી મોટી રાહત મળે તેવી શક્યતા છે. 2023માં ફૂગાવો ઘટી શકે છે અને તેનાથી લોકોને EMIમાં પણ રાહત મળી શકે છે. 
 
વર્લ્ડબેંકના અર્થશાસ્ત્રી ધ્રુવ શર્માનું માનવું છે કે, આગામી નાણાકીય વર્ષ 2023-24માં છૂટક ફુગાવાનો દર ઘટીને 5.1 ટકા થઈ શકે છે. જો આવું થાય તો તમને મોંઘી EMIમાંથી પણ રાહત મળી શકે છે.


વર્લ્ડબેંકના અર્થશાસ્ત્રીએ કહ્યું હતું કે, આગામી નાણાકીય વર્ષમાં ફુગાવાનો દર 5.1 ટકા રહેવાનો અંદાજ છે અને તે આરબીઆઈના બેન્ડના 2 થી 6 ટકાની વચ્ચે રહી શકે છે. તેમણે કહ્યું હતું કે, ખાદ્ય પદાર્થોના ભાવમાં ભારે ઉછાળાને કારણે મોંઘવારી વધી છે. તાજેતરમાં ઓક્ટોબર મહિનાના જે આંકડા સામે આવ્યા છે તેમાં રિટેલ ફૂગાવાનો દર 6.7 ટકા રહ્યો છે.


મોંઘા EMIમાંથી મળશે રાહત


એપ્રિલ 2022માં છૂટક મોંઘવારી દર 7.79 ટકા પર પહોંચી ગયો હતો. ત્યાર બાદ આરબીઆઈએ વ્યાજ દર વધારવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. સતત ચાર મોનેટરી પોલિસી બેઠકો બાદ આરબીઆઈએ રેપો રેટ 4 ટકાથી વધારીને 5.90 ટકા કર્યો હતો. રેપો રેટમાં વધારાને કારણે બેંકોએ હોમ લોનથી લઈને તમામ પ્રકારની લોન પર વ્યાજદરમાં વધારો કર્યો હતો. હોમ લોન ગ્રાહકોની EMIમાં મોટો વધારો થયો છે. સૌપ્રથમ તો મોંઘવારીનો માર પડ્યો અને તેની ઉપર મોંઘી EMIએ લોકોના ઘરનું બજેટ બગાડ્યું. પરંતુ વર્લ્ડબેંકના અનુમાન મુજબ 2023માં મોંઘવારી દર ઘટીને 5.1 ટકા પર આવી શકે છે, રેપો રેટમાં વધારા પર બ્રેક લાગશે એટલું જ નહીં રેપો રેટમાં ઘટાડો પણ થઈ શકે છે. આ સ્થિતિમાં લોકોને મોંઘી EMIમાંથી રાહત મળી શકે છે.


RBI પણ ખુશ


RBI ગવર્નર શક્તિકાંત દાસે પણ કહ્યું હતું ક, આવતા વર્ષે મોંઘવારી ઘટી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ આગામી વર્ષમાં મોંઘવારીમાંથી રાહતની આશા વ્યક્ત કરી હતી. 7 ડિસેમ્બરે આરબીઆઈ ફરીથી લોન પોલિસી જાહેર કરશે. જેથી મોંઘવારી પર RBIનું વલણ સામે આવી શકે છે.