War Against Inflation: દેશમાં મોંઘવરી મોટો મુદ્દો છે. જોકે એપ્રિલ મહિનામાં છૂટક મોંઘવારી દર 4.70 ટકાના 18 મહિનાના નીચલા સ્તરે આવતા આંશિક રાહત જરૂર મળી હતી. છતાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે ફરીથી ફુગાવાને લઈને ચેતવણી આપી છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું હતું કે, ફુગાવા સામેની લડાઈ હજુ પૂરી થઈ નથી અને કેન્દ્રીય બેંક અલ નીનો પરિબળ પર નજર રાખી રહી છે કારણ કે તેની અસર ફુગાવા પર પડી શકે છે.


ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે, હાલની સ્થિતિ ખૂબ જ ગતિશીલ છે અને મોંઘવારી સામેની લડાઈ હજુ પૂરી થઈ નથી. આ સ્થિતિમાં આપણે સતર્ક રહેવાની જરૂર છે. આત્મસંતોષનું કોઈ કારણ નથી. આપણે એ જોવાનું છે કે, અલ નીનો પરિબળ જેની આશંકા છે તે તેની અસર કેવી રીતે દર્શાવે છે.


હવામાન વિભાગે આ વર્ષે સામાન્ય વરસાદની આગાહી કરી છે. પરંતુ ઘણા સંશોધન અહેવાલો માને છે કે, આ વર્ષે અલ નીનોની અસરને કારણે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, જેના કારણે અનાજનું ઉત્પાદન ઘટી શકે છે. અમેરિકા સાથે સંકળાયેલી સંસ્થા MOAA (નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન)એ જૂન અને ડિસેમ્બર 2023 વચ્ચે અલ નીનોના આગમનની આગાહી કરી છે. તેનાથી ભારતમાં ચોમાસાને અસર થઈ શકે છે.


જાન્યુઆરી મહિના માટે નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી માસિક આર્થિક સમીક્ષામાં હવામાન સંબંધિત એજન્સીઓના અનુમાનને ટાંકીને આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે, ભારતમાં અલ નીનો જેવી સ્થિતિ જોવા મળી શકે છે. જો આ આગાહી સાચી ઠરશે તો વરસાદમાં ઘટાડો થઈ શકે છે. આના કારણે કૃષિ ઉત્પાદન ઓછું રહી શકે છે, જેના કારણે ખાદ્ય પદાર્થોના ભાવ વધી શકે છે.


અલ નીનો એ પ્રશાંત મહાસાગરના દરિયાઈ સપાટીના તાપમાનમાં સમયાંતરે થતા ફેરફારોનો ઉલ્લેખ કરે છે, જેની અસર હવામાન પર જોવા મળે છે. અલ નિનોના કારણે તાપમાન વધુ ગરમ છે. અલ નીનોના કારણે ઠંડીની ઋતુમાં પણ ગરમી હોય છે જ્યારે ઉનાળાની ઋતુમાં તાપમાન વધે છે અને દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય છે. તેની અસરથી વરસાદ પડતા વિસ્તારોમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. ઓછા વરસાદવાળા સ્થળોએ વધુ વરસાદ પડે છે.