નવી દિલ્હીઃ હાલના સમયમાં આધાર કાર્ડ મહત્વનો પુરાવો છે. યુડીઆઈએ આધાર કાર્ડમાં નામ, જેંડર અને જન્મતારીખ બદલવાના નિયમોમાં સંશોધન કર્યા બાદ તેમાં અપડેટ કરાવી શકાય છે. પરંતુ શું તમે જાણો છો કે જિંદગીમાં કેટલી વખત આધાર કાર્ડમાં નામ બદલાવી શકાય છે અને તેની શું શરતો છે. જો નથી જાણતાં તો પરેશાન થવાની જરૂર નથી, અમે આ અંગે તમને જણાવી રહ્યા છીએ.


આધારકાર્ડમાં વારંવાર અપડેશનની મંજૂરી નથી. કોઈપણ વ્યક્તિ જીવનમાં માત્ર બે વખત જ આધાર કાર્ડમાં પોતાનું નામ અપડેટ કરાવી શકે છે. જ્યારે જન્મતારીખને લઈ નિયમો વધારે કડક છે. આધાર કાર્ડમાં ડેટ ઓફ બર્થ માત્ર એક જ વખત અપડેટ કરાવી શકાય છે.  પ્રથમ વખત આધાર કાર્ડ બનાવતી વખતે નોંધવામાં આવેલી જન્મ તારીખને ત્રણ વર્ષની મહત્તમ રેંજ (વધારે કે ઓછી)માં બદલાવી શકાય છે. ઉપરાંત લિંગ પણ એક જ વખત બદલાવી શકાય છે.

આધાર કાર્ડમાં નામ બદલવાની શરતો

આધાર કાર્ડમાં નીચેની શરતો પર જ નામ અપડેટ કરાવી શકાય છે, જેમકે

-સ્પેલિંગમાં ભૂલ હોય

- ટૂંકા નામને ફૂલ કરવું હોય

- લગ્ન બાદ નામ બદલવાનું હોય

આધાર કાર્ડમાં મોબાઇલ નંબર કે ઇમેલ અપડેટ કરાવવાકોઇ પ્રકારના ડોક્યુમેંટની જરૂર પડતી નથી. પરંતુ આ માટે ઓટીપીની જરૂર પડે છે. જો તમે આધાર કાર્ડમા કોઇ વિગત સુધારવા માંગતા હો તો https://uidai.gov.in/ પર જઈને જમણી બાજુ આપેલા 'Update Your Aadhaar Card' ટેબ પર ક્લિક કરીને જરૂરી વિગતો ભરી અપડેટ કરાવી શકો છો.