નવી દિલ્હી: વૈશ્વિક ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝ ઈન્વેસ્ટસ સર્વિસે શુક્રવારે કહ્યું કે નાણાકીય વર્ષ 2020-21માં ભારતનો આર્થિક વિકાસ દર શૂન્ય રહી શકે છે. કોરોના સમયગાળામાં દેશના અર્થતંત્રનું સંકટ સતત વધી રહ્યું છે.


એજન્સીએ તેની નવી આગાહીમાં જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2020-21માં ભારતનો જીડીપી વૃદ્ધિદર શૂન્ય થઈ શકે છે. આનો અર્થ એ કે દેશની જીડીપીની સ્થિતિ આ નાણાકીય વર્ષમાં સપાટ રહેશે.

એજન્સીએ નાણાકીય વર્ષ 2021-22માં વિકાસ દર 6.6 ટકા સુધી પહોંચવાની પણ ધારણા વ્યક્ત કરી છે. ગયા મહિનાના અંતમાં મૂડીઝે કેલેન્ડર વર્ષ 2020 માટે તેની જીડીપી વૃદ્ધિ દર ઘટાડીને 0.2 ટકા કરી દીધો છે.

વિશ્લેષક એ વાતને લઈને નિશ્ચિત છે કે આ મહામારી દેશની આર્થિક સ્થિતિ પર મોટો પ્રભાવ પાડશે. ઈક્રાએ આ મહામારીના કારણે વિકાસ દરમાં બે ટકા ઘટાડાની આશંકા વ્યક્ત કરી છે.

આ મહામારીના કારણે દેશ આશરે બે મહિનાથી લોકડાઉનની સ્થિતિમાં છે. સરકારે માર્ચમાં 1.7 લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજની જાહેરાત કરી હતી. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સરકાર વધુ એક રાહત પેકેજ જાહેર કરી શકે છે.