સરકારે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ (EPF) અકાઉન્ટમાં 5 લાખ સુધીની ડિપોઝિટને ટેક્સ ફ્રી કરી દીધી છે. એટલે કે 5 લાખ સુધી જમા કરાવવા પર વ્યાજની આવક ટેક્સ ફ્રી હશે. બજેટમાં 2.5 લાખ સુધીને જ ટેક્સ ફ્રી કરવામાં આવી હતી. લોકસભામાં ફાઈનાન્સિયલ બીલ 2021 પસાર કરવામાં આવ્યું, જેમાં સરકારે કેટલાક સુધારા પણ કર્યા છે. સરકારે પ્રોવિડન્ટ ફંડ (PF)માં રોકાણના વ્યાજ પર છૂટ મળતી મર્યાદાને વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે.


નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, જોકે કરમુક્તિની આ છૂટ માત્ર એવા પીએફધારકોને મળશે, જેમના પીએફ ખાતામાં કંપની દ્વારા કોઈ યોગદાન આપવામાં આવ્યું નહીં હોય. આ સાથે લોકસભામાં નાણાં બિલ ધ્વની મતથી પસાર થઈ ગયું હતું. આ બિલ પર ચર્ચા દરમિયાન નાણામંત્રી સીતારામને લોકસભામાં કરમુક્તિ મર્યાદા ૨.૫ લાખથી વધારીને પાંચ લાખ કરવાની જાહેરાત કરી હતી.


આ બિલ મંજૂર થઈ જતાં ૧લી ફેબુ્રઆરીએ બજેટમાં કરાયેલી જાહેરાત પર મંજૂરીની મહોર લાગી ગઈ હતી. નાણામંત્રીએ ફરી એક વખત કહ્યું હતું કે પીએફની રકમ પર વ્યાજની આવકને કરપાત્ર બનાવવાની અસર માત્ર એક ટકા પીએફ ધારકોને થશે. બાકીના પીએફ ધારકો પર આ નિયમની અસર નહીં થાય, કારણ કે તેમનું વાર્ષિક યોગદાન ૨.૫ લાખ રૂપિયાથી ઓછું હોય છે.


1 એપ્રિલથી વ્યાજ પર ટેક્સ લાગશે


બજેટ 2021-20માં EPFમાંથી મળતા વ્યાજ પર ટેક્સ ફ્રીની જાહેરાત કરવામાં આવી હતી. બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારામણે જણાવ્યું હતું કે, એક નાણાકીય વર્ષમાં 2.5 લાખ રૂપિયા સુધી EPFમાં રોકાણ ટેક્સ ફ્રી હશે. તેનાથી વધારે રોકાણ કરવા પર એડિશનલ અમાઉન્ટ પર વ્યાજથી થતી આવક પર ટેક્સ લાગશે. એટલે કે, જો તમે 3 લાખ રૂપિયા વાર્ષિક જમા કર્યા છે તો 50 હજાર પર વ્યાજથી જે આવક થશે તેના પર તમારા ટેક્સ સ્લેબના દરથી ટેક્સ વસૂલવામાં આવશે. અત્યાર સુધી વ્યાજની આવક સંપૂર્ણપણે કરમુક્ત હતી.