Punjab Election Results: પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની લહેર સામે સત્તાધારી કોંગ્રેસના સુંપડા સાફ થઈ ગયા છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ પોતાની હાર સ્વીકારી લીધી છે. નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું છે કે પંજાબની જનતાએ જે નિર્ણય લીધો છે તે સ્વીકાર્ય છે. સિદ્ધુએ આમ આદમી પાર્ટીને પણ જીત માટે અભિનંદન પાઠવ્યા છે.


નવજોત સિંહ સિદ્ધુએ ટ્વિટ કરીને કહ્યું કે, લોકોનો અવાજ ભગવાનનો અવાજ છે. અમે અમારી હાર સ્વીકારીએ છીએ. પંજાબની જનતાનો નિર્ણય માથા પર છે. જીત પર આમ આદમી પાર્ટીને અભિનંદન.


નવજોત સિંહ સિદ્ધુની પોતાની અમૃતસર પૂર્વ બેઠક પણ મુશ્કેલીમાં જોવા મળી રહી છે. નવજોત સિંહ સિદ્ધુ અમૃતસર પૂર્વથી આમ આદમી પાર્ટીના ઉમેદવારોથી ત્રણ હજાર મતોથી પાછળ છે. ત્રીજા નંબર પર બિક્રમ સિંહ મજીઠિયા છે. બિક્રમ મજીઠિયા અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચેનું અંતર એક હજારથી ઓછું છે.


આમ આદમી પાર્ટી 90 સીટો પર આગળ છે


પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો જાદુ ચાલ્યો છે. પંજાબના ઈતિહાસમાં પહેલીવાર આમ આદમી પાર્ટી 90 સીટો જીતતી જોવા મળી રહી છે. કોંગ્રેસ પાર્ટી અત્યાર સુધી 17 સીટો પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટી ગત વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં 60 બેઠકો ગુમાવી રહી છે.


પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ખૂબ જ ચોંકાવનારા પરિણામો સામે આવી રહ્યા છે. સત્તા અને વિપક્ષના તમામ મોટા ચહેરા ચૂંટણી હારતા જોવા મળી રહ્યા છે. પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહ, પૂર્વ સીએમ પ્રકાશ સિંહ બાદલ અને શિરોમણી અકાલી દળના વડા સુખબીર સિંહ બાદલ ખરાબ રીતે પાછળ છે.


કેપ્ટન અમરિંદર સિંહની હાર


પંજાબના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પટિયાલા બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. તેમને આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજીતપાલ સિંહ કોહલીએ પરાજય આપ્યો છે. તમને જણાવી દઈએ કે, આ વખતે કેપ્ટન કોંગ્રેસમાંથી પોતાની અલગ પાર્ટી બનાવીને ચૂંટણી લડી રહ્યા છે. સાથે જ આ વખતે તેમણે ભાજપ સાથે ગઠબંધન કર્યું છે. પટિયાલા સીટ કે જે કેપ્ટન અમરિંદર સિંહે પોતાના માટે પસંદ કરી હતી, તે 2017માં જીતી હતી. તેમણે આમ આદમી પાર્ટીના ડૉ. બલબીર સિંહને 52407 મતોના માર્જિનથી હરાવ્યા. 2017માં અહીં કુલ 68.29 ટકા વોટ પડ્યા હતા.