લોકડાઉનની વચ્ચે Jio, Vodafone અને Airtelએ યૂઝર્સને આપ્યો ઝાટકો, પ્લાન્સની વેલિડિટી.....
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 May 2020 02:16 PM (IST)
આ પહેલા લોકડાઉન લાગુ થયા બાદ ટેલિકોમ કંપનીઓ પ્રીપેડ પ્લાન્સની વેલિડિટી 14 એપ્રિલ સુધી વધારી દીધી હતી.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉન વચ્ચે વોડાફોન-આઈડિયા, એરટેલ અને રિલાયન્સ જિયો સહિત અનેક ટેલિકોમ કંપનીએ ગ્રાહકોને ઘણી સુવિધા આપી હતી. કંપનીઓ તરફથી પ્લાન્સની વેલિડિટી પણ વધારી હતી પરંતુ હવે કંપનીઓ દ્વારા ટેરિફ પ્લાન્સની વેલિડિટી નહીં વધારવાનો ફેંસલો લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર તરફથી લોકડાઉન 3માં આપવામાં આવેલી ઢીલના કારણે કંપનીઓ દ્વારા પ્લાન્સની વેલિડિટી નહીં વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વોડાફોન, ભારતી એરટલે અને રિલાયન્સ જિયો તરફથી સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (COAI)ના ડાયરેક્ટર જનરલ રાજન મેથ્યૂઝે કહ્યું કે, ટેરિફ પ્લાન્સ પર હવે વેલિડિટી નહીં વધારવામાં આવે. લોકડાઉનમાં રાહત મળ્યા બાદ ગ્રાહકો બહાર જઈને રિચાર્જ કરાવી શકે છે. આ પહેલા લોકડાઉન લાગુ થયા બાદ ટેલિકોમ કંપનીઓ પ્રીપેડ પ્લાન્સની વેલિડિટી 14 એપ્રિલ સુધી વધારી દીધી હતી. જે બાદ લોકડાઉન વધારવામાં આવ્યું તે 3 મે સુધી લંબાવી હતી, પરંતુ હવે આ સુવિધા પરત લઈ લીધી છે. ટેલિકોમ ઓપરેટર્સ વોડાફોન-આઈડિયા અને એરટેલ દ્વારા ગ્રાહકોને 10 રૂપિયા સુધીનો એકસ્ટ્રા ટોકટાઈમ બિલકુલ ફ્રી આપતી હતી. ઉપરાંત જિયો પણ 100 મિનિટનો ફ્રી ટોકટાઈમ કસ્ટમર્સને આપતી હતી. કંપનીઓના જણાવ્યા મુજબ નાની કરિયાણાની દુકાનથી લઈ એટીએમની મદદથી રિચાર્જ કરી શકાય છે, ઉપરાંત ઓનલાઈન રિચાર્જની સુવિધા પણ ઉપલબ્ધ હોવાથી વેલિડિટી નહીં વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.