Ola Layoffs: ડોમેસ્ટિક ઇલેક્ટ્રિક વ્હીકલ્સ કંપની ઓલા ઈલેક્ટ્રિક IPO પહેલા છટણીની તૈયારી કરી રહી છે. કંપની ખર્ચના બોજને ઘટાડીને નફામાં આવવાની યોજના ધરાવે છે. જેના કારણે કંપનીના સેંકડો કર્મચારીઓની નોકરી જોખમમાં છે.


આટલા કર્મચારીઓની જઇ શકે છે નોકરી


ETના રિપોર્ટ અનુસાર, Ola Electricમાં 400 થી 500 કર્મચારીઓની છટણી કરવામાં આવી શકે છે. કંપની તેની કામગીરીને સુવ્યવસ્થિત કરવા માટે છટણી યોજનાઓ પર કામ કરી રહી છે. રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને એવું કહેવામાં આવ્યું છે કે છટણીથી પ્રભાવિત કર્મચારીઓની સંખ્યામાં આવનારા દિવસોમાં ફેરફાર થઈ શકે છે, કારણ કે કંપનીના વરિષ્ઠ મેનેજમેન્ટ હજુ પણ છટણીના સ્કેલ પર વિચાર કરી રહ્યા છે.


એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓલા ઇલેક્ટ્રિકના સ્થાપક ભાવિશ અગ્રવાલ પ્રસ્તાવિત IPO પહેલા કંપનીને નફામાં લાવવા માંગે છે. ઓલા ઈલેક્ટ્રિકમાં છટણીથી કયા કર્મચારીઓને અસર થશે તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ આનાથી ઘણા વર્ટિકલ્સના કર્મચારીઓને અસર થવાની સંભાવના છે.


ઓછા પગારમાં લોકોને નોકરી પર રાખવામાં આવી શકે છે


કંપની જૂના કર્મચારીઓને બરતરફ કરી શકે છે અને તેમાંથી કેટલાકની જગ્યાએ નવા કર્મચારીઓને નોકરીએ રાખી શકે છે. વધુ પગાર ધરાવતા જૂના કર્મચારીઓની જગ્યાએ ઓછા પગારે નવા કર્મચારીઓ લાવવાથી કંપનીને ખર્ચ ઘટાડવામાં મદદ મળશે. સૂત્રોનું એમ પણ કહેવું છે કે જેટલા કર્મચારીઓને છૂટા કરવામાં આવશે તેની સરખામણીમાં ઓછા કર્મચારીઓને નોકરી પર રાખવામાં આવશે. આનો અર્થ એ થયો કે ઓલા ઈલેક્ટ્રિકની એકંદર હેડકાઉન્ટમાં ઘટાડો નિશ્ચિત છે.


ડિસેમ્બરમાં ડ્રાફ્ટ ફાઈલ કરવામાં આવ્યો હતો


ઓલા ઈલેક્ટ્રિકે ગયા વર્ષે ડિસેમ્બરમાં માર્કેટ રેગ્યુલેટર સેબીમાં આઈપીઓ માટે ડ્રાફ્ટ ફાઈલ કર્યો હતો. તે સમયે કંપનીએ ડ્રાફ્ટમાં જણાવ્યું હતું કે ઓક્ટોબર 2023 સુધીમાં તેના કર્મચારીઓની કુલ સંખ્યા 3,733 હતી. કંપની IPO લોન્ચ કરીને રોકાણકારો પાસેથી 5,500 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.