PNB account closure: જો તમારું બેંક એકાઉન્ટ પણ પંજાબ નેશનલ બેંક (PNB) માં છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. બેંકે તેના ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ અપડેટ અને ચેતવણી જારી કરી છે, જે મુજબ આવતીકાલથી એટલે કે 16 એપ્રિલથી બેંક અમુક ખાતાઓ હંમેશા માટે બંધ કરવા જઈ રહી છે. જે બેંક ખાતાઓમાં છેલ્લા 3 વર્ષથી કોઈ પણ પ્રકારનો નાણાકીય વ્યવહાર (ટ્રાન્ઝેક્શન) થયો નથી અને જેનું બેલેન્સ શૂન્ય છે, તેવા તમામ નિષ્ક્રિય ખાતાઓ પર બેંક તાળું મારી દેશે. ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે બેંકે આ કડક નિર્ણય લીધો છે.
કયા ખાતાઓ પર લટકી રહી છે તલવાર?
બેંક લાંબા સમયથી ધૂળ ખાતા નિષ્ક્રિય (Dormant) એકાઉન્ટ્સ પર સફાયો બોલાવવાની તૈયારી કરી રહી છે. નિયમ મુજબ:
જે ખાતાઓમાં છેલ્લા 3 વર્ષમાં એક પણ રૂપિયાની લેવડ દેવડ નથી થઈ.
જે ખાતાઓમાં બેલેન્સ બિલકુલ શૂન્ય (0) છે.
જે ખાતાઓ પહેલાથી જ નિષ્ક્રિય સ્થિતિમાં મૂકી દેવામાં આવ્યા છે.આ ઉપરાંત, બેંકે સ્પષ્ટ કર્યું છે કે દરેક ગ્રાહક માટે e KYC પૂર્ણ કરવું ફરજિયાત છે. જો તમે નિયમોનું પાલન કરીને e KYC નહીં કરાવો, તો પણ તમારું ખાતું બંધ કરી દેવામાં આવશે.
તમારું ખાતું બંધ થતું કેવી રીતે અટકાવશો?
જો તમે ઈચ્છતા હોવ કે તમારું ખાતું બંધ ન થાય અને રાબેતા મુજબ ચાલુ રહે, તો ગભરાવાની જરૂર નથી, બસ આટલું કરો:
તમારા જરૂરી દસ્તાવેજો (જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે) લઈને તમારી નજીકની PNB શાખાની મુલાકાત લો.
ત્યાં જઈને બેંકના અધિકારી પાસે તમારી e KYC ની પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરાવી લો.
e KYC કરાવવાની સાથે જ, તમારા ખાતામાં થોડા પૈસા જમા કરાવી દો, જેથી તમારું એકાઉન્ટ શૂન્ય બેલેન્સવાળું ન રહે અને ફરીથી એક્ટિવ થઈ જાય.
બેંકે આવો આકરો નિર્ણય કેમ લીધો?
તમને પ્રશ્ન થતો હશે કે બેંક અચાનક ખાતાઓ કેમ બંધ કરી રહી છે? હકીકતમાં, બેંકના રેકોર્ડમાં એવા હજારો ખાતાઓ છે જેમાં વર્ષોથી કોઈ વ્યવહાર થયો નથી અને બેલેન્સ શૂન્ય છે. આવા લાંબા સમયથી નિષ્ક્રિય પડેલા ખાતાઓનો ઉપયોગ સાયબર ગઠિયાઓ છેતરપિંડી કે ગેરકાયદેસર કામો માટે કરી શકે છે. આવા ખાતાઓ ફ્રોડ માટે સરળ ટાર્ગેટ બની જાય છે, તેથી ભવિષ્યમાં થનારી કોઈ મોટી છેતરપિંડીને રોકવા અને ગ્રાહકોના હિતને સુરક્ષિત રાખવા બેંકે આ આગોતરું પગલું ભર્યું છે.
