Railway Concession For Senior Citizen: રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલ્વેમાં મુસાફરી કરતા વરિષ્ઠ નાગરિકો માટે રાહત દરે ટિકિટની સુવિધા પુનઃસ્થાપિત કરવાનો ઇનકાર કર્યો છે. રેલવે મંત્રીએ કહ્યું હતું કે, ગયા વર્ષે રેલવેએ પેસેન્જર સેવાઓ પર સબસિડી તરીકે 59,000 કરોડ રૂપિયા ખર્ચવા પડ્યા હતા. તેમણે કહ્યું હતું કે, રેલવે પર પેન્શન અને પગારનો બોજ પહેલાથી જ પણ ઘણો વધારે છે.


સબસિડી કેટલાક રાજ્યોના બજેટ કરતા પણ વધુ


ઉલ્લેખનીય છે કે, કોવિડ સમયગાળાની શરૂઆતથી રેલ્વેએ વરિષ્ઠ નાગરિકોને રેલ ભાડામાં આપવામાં આવતી રાહતને સ્થગિત કરી દીધી હતી. રેલ્વે મંત્રીએ કહ્યું હતું કે, રેલ્વેએ પેસેન્જર સેવાઓ પર સબસીડી પર 59,000 કરોડ રૂપિયા ખર્ચવા પડે છે, જે ઘણી મોટી રકમ છે. તેમણે કહ્યું હતું કે, આ રકમ કેટલાક રાજ્યોના વાર્ષિક બજેટ કરતા પણ વધુ છે. અશ્વિની વૈષ્ણવના કહેવા પ્રમાણે, રેલવેના વાર્ષિક પેન્શન પર 60,000 કરોડ રૂપિયા ખર્ચવા પડે છે. પગાર ખર્ચ 97,000 કરોડ રૂપિયા છે, જ્યારે 40,000 કરોડ ઈંધણ પાછળ ખર્ચવા પડે છે. તેમણે કહ્યું હતું કે, રેલ્વેએ ગયા વર્ષે સબસિડી પર 59,000 કરોડ રૂપિયા ખર્ચવા પડ્યા હતા. તેવી જ રીતે રેલવે નવી સુવિધાઓ પણ લાવી રહી છે. જો નવા નિર્ણયો લેવાના હશે તો અમે લઈશું. પરંતુ અત્યારે રેલવેની હાલત શું છે તેના પર પણ દરેકે ધ્યાન આપવું જોઈએ.


રેલ ટિકિટ પર ડિસ્કાઉન્ટ પુનઃસ્થાપિત કરવા માંગ


મહારાષ્ટ્રના લોકસભા સાંસદ નવનીત રાણાએ રેલ્વે મંત્રીને પૂછ્યું હતું કે, વરિષ્ઠ નાગરિકોને રેલ ભાડામાં આપવામાં આવતી રાહત ક્યારે પુનઃસ્થાપિત કરવામાં આવશે. જેના જવાબમાં રેલ્વે મંત્રીએ કહ્યું હતું કે, હાલમાં રેલ ટિકિટ પરની રાહત પુનઃસ્થાપિત કરવી શક્ય નથી.


દરેક રેલ મુસાફરોને ભાડામાં 53% ડિસ્કાઉન્ટ મળે જ છે


ગયા અઠવાડિયે પ્રશ્નકાળ દરમિયાન વરિષ્ઠ નાગરિકોને રેલ્વે કન્સેશન આપવા અંગે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં રેલ્વે મંત્રાલયે કહ્યું હતું કે, તે રેલવેમાં મુસાફરી કરતા તમામ મુસાફરો પર સરેરાશ 53 ટકા ડિસ્કાઉન્ટ આપે છે. આ સાથે આ મુક્તિ ઉપરાંત તે દિવ્યાંગજનો, વિદ્યાર્થીઓ અને દર્દીઓને રાહત આપે છે તે અલગ. રેલ્વે મંત્રીને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, રેલ્વે કન્સેશનના અભાવમાં 63 લાખ વરિષ્ઠ નાગરિકોએ રેલ્વે મુસાફરી કરવાનું બંધ કરી દીધું છે અને શું સંસદની સ્થાયી સમિતિએ વરિષ્ઠ નાગરિકોને રેલ ભાડામાં રાહત આપવાનો પ્રસ્તાવ ફરીથી આપ્યો છે કે કેમ? આ પ્રશ્નના લેખિત જવાબમાં રેલ્વે મંત્રીએ કહ્યું હતું કે, 2019-20માં રેલ્વેએ પેસેન્જર ટિકિટ પર 59,837 કરોડ રૂપિયાની સબસિડી આપી હતી. એટલે કે રેલ્વેએ દરેક રેલ્વે મુસાફરને ભાડામાં સરેરાશ 53 ટકા ડિસ્કાઉન્ટ આપ્યું જ છે.