નવી દિલ્હીઃ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC) 2020ની શરૂઆત થઈ ગઈ છે. 8 થી 11 ડિસેમ્બર સુધી આ કાર્યક્રમનં આયોજન થશે. આ વખતે આઈએમસીનું આયોજન વર્ચુઅલ રીતે થઈ રહ્યું છે. કાર્યક્રમની શરૂઆતમાં દિગ્ગજ કારોબારી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ મોટી જાહેરાત કરી. તેમણે ભારતમાં 5જી પ્લાનની જાણકારી આપતાં કહ્યું, રિલાયન્સ જિયો 2021માં ભારતમાં 5જી સેવા લોન્ચ કરશે. તેમની આ જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર મુકેશ અંબાણી ટ્રેન્ડ થયા હતા.


મુકેશ અબાણીએ કહ્યું, આત્મનિર્ભર ભારત યોજના હેઠળ ભારતમાં 2021માં 5જી સેવા લોન્ચ કરાશે. જે ભારતમાં જ બનેલા નેટવર્ક, હાર્ડવેર અને ટ્કોનોલોજી કોમ્પોનેંટ્સ પર આધારિત હશે. ડિજિટલ સમયમાં કોવિડ-19ના કારણે અનેક પડકારો આવ્યા છે. જોકે 4જી કનેક્ટિવિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી ફરીથી સાબિત કરી દીધું છે કે તે ભારતની ડિજિટલ લાઇફલાઇન છે.

મુકેશ અંબાણીએ કહ્યું, ભારતનું અર્થતંત્ર ન માત્ર પાટા પર ચડશે પરંતુ સારો વિકાસ પણ કરશે. ભારત 5 ટ્રિલિયન ઇકોનોમી બનશે. આપણે ભારતની શાનદાર કહાનીના દાયકામાં પ્રવેશવા જઈ રહ્યા છીએ. ડિજિટલ ઈન્ડિયા મિશન તેમાં મહત્વની ભૂમિકા ભજવશે, જે ઉભરતા ભારતને અટકાવી નહીં શકે.

આ વખતે ઈન્ડિયા મોબાઇલ કોંગ્રેસમાં મુકેશ અંબાણીએ સરકારને ચાર વિચાર આપ્યા છે. જેમાં 2જી યૂઝર્સને સ્માર્ટફોનમાં શિફ્ટ કરવાથી લઈ ભારતમાં 5જી લોન્ચ કરવાની વાત કહી છે. આ માટે તેમણે  સરકારને યોગ્ય પગલાં ભરવાનું કહ્યું છે.