નવી દિલ્હી: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પોતાના ગ્રાહકો માટે એટીએમમાંથી રોકડ ઉપાડના નિયમમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. આ નિયમ એક જાન્યુઆરી 2020થી લાગુ થશે. દેશની સૌથી મોટી બેન્કના ગ્રાહકોએ હવે રાત્રે એટીએમમાંથી રોકડ ઉપાડતા સમયે એકાઉન્ટ સાથે જોડેલો મોબાઈલ સાથે રાખવો પડશે.


બેન્ક રાત્રે 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી એટીએમમાંથી 10 હજાર રૂપિયાથી વધુ નાણાં ઉપાડો તો ઓટીપી આધારિત સિસ્ટમ લાગુ કરી રહી છે. બેન્કે કહ્યું કે ગ્રાહકોને ફ્રોડથી બચાવવા માટે આ નિર્ણય લેવાયો છે. નવી સિસ્ટમ 1 જાન્યુઆરી 2020થી લાગુ પડશે.

બીજી બેન્કના એટીએમમાંથી જો રોકડ ઉપાડવામાં આવશે તો આ સિસ્ટમ લાગુ પડશે નહીં. એસબીઆઈના ગ્રાહકોએ એટીએમના ઉપાડ સમયે પોતાનો મોબાઈલ સાથે રાખવો પડશે. ટ્રાન્ઝેક્શન દરમિયાન ખાતા સાથે જોડાયેલો મોબાઈલ નંબર બેન્ક તરફથી વન-ટાઈમ પાસવર્ડ તરીકે મોકલાશે. એટીએમમાં પાસવર્ડ સાથે આ ઓટીપી નંબર પણ એન્ટર કરવાનો રહેશે.