સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) એ 15 ડિસેમ્બર, 2024 થી 15 જાન્યુઆરી, 2025 સુધીના સમયગાળા માટે પોતાના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ્સ (MCLR) ની જાહેરાત કરી છે. નવા દરો 15 ડિસેમ્બર, 2024થી અમલમાં આવ્યા છે. SBI એ તમામ મુદત માટે MCLR દરો સ્થિર રાખ્યા છે, જે હોમ લોન, પર્સનલ લોન અને અન્ય લોન પરના વ્યાજ દરોને અસર કરે છે.
નવા અપડેટ શું છે?
SBIએ તેની ઓવરનાઇટ અને એક મહિનાની MCLR 8.20 ટકા પર જાળવી રાખી છે. ત્રણ મહિના માટે MCLR 8.55 ટકા અને છ મહિના માટે MCLR 8.90 ટકા છે. એક વર્ષનો MCLR જે સામાન્ય રીતે ઓટો લોન માટે લાગુ પડે છે, તે 9 ટકા છે. બે અને ત્રણ વર્ષનો MCLR અનુક્રમે 9.05 ટકા અને 9.10 ટકા પર સ્થિર રાખવામાં આવ્યો છે.
MCLR એ ન્યૂનતમ દર છે જેના પર બેન્કો લોન આપે છે. આ દર લોનના વ્યાજની ગણતરી માટેનો આધાર છે. આ સિવાય SBIએ તેના બેઝ રેટ અને બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટ (BPLR)માં પણ ફેરફાર કર્યા છે. SBI બેઝ રેટ 10.40 ટકા છે અને BPLR 15.15 ટકા વાર્ષિક છે જે 15 ડિસેમ્બર, 2024 થી અમલમાં આવશે.
હોમ અને પર્સનલ લોન પર કેટલી અસર થશે?
SBI હોમ લોનના વ્યાજ દરો લેનારાના CIBIL સ્કોર પર આધાર રાખે છે. હાલમાં આ દરો 8.50 ટકાથી 9.65 ટકાની વચ્ચે છે. SBI નો એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (EBLR) 9.15 ટકા છે, જે RBI ના રેપો રેટ (6.50 ટકા) અને 2.65 ટકાના સ્પ્રેડના આધારે નક્કી કરવામાં આવે છે. વ્યક્તિગત લોન માટે SBIનો બે વર્ષનો MCLR 9.05 ટકા છે. વ્યક્તિગત લોન માટે લઘુત્તમ CIBIL સ્કોર 670 નક્કી કરવામાં આવ્યો છે, ખાસ કરીને કોર્પોરેટ સેલરી પેકેજ એકાઉન્ટ ધારકો માટે.
તમને આ છૂટ મળશે
SBI એ જણાવ્યું છે કે જો કોઇ લોન એકાઉન્ટને એ જ સ્કીમ હેઠળ ખોલવામાં આવેલી નવી લોન સાથે બંધ કરવામાં આવે તો કોઈ પ્રીપેમેન્ટ અથવા ફોરક્લોઝર ચાર્જિસ લાગુ થશે નહીં. સુરક્ષા કર્મચારીઓ માટે આ ફી કોઈપણ લોન સમયગાળામાં સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. SBI દ્વારા વ્યાજ દરો સ્થિર રાખવા માટેનું આ પગલું લોન લેનારાઓને રાહત આપશે. આ પગલું ખાસ કરીને એવા ગ્રાહકો માટે ફાયદાકારક રહેશે જેઓ હોમ લોન અને ઓટો લોન લેવાની યોજના બનાવી રહ્યા છે. બેન્કના સ્થિર વ્યાજદર વર્તમાન આર્થિક સ્થિતિમાં નાણાકીય સ્થિરતા જાળવવામાં મદદ કરશે. આ નિર્ણય SBI ગ્રાહકોને વધુ સારી રીતે નાણાકીય આયોજન કરવામાં અને તેમની EMIsનું સંચાલન કરવામાં મદદ કરશે.