નવી દિલ્હીઃ ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઇ)એ પોતાની પાસે વધુ રોકડ઼ અને વ્યાજ દરોમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને અલગ અલગ મેચ્યોરિટીની ડિપોઝિટ્સ પર વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. બેન્કે કહ્યું કે, નવા વ્યાજ દરો 1 ઓગસ્ટ 2019થી લાગુ થશે.


એસબીઆઇએ સોમવારે કહ્યું કે, શોર્ટ ટર્મની 179 દિવસની એફડી પર વ્યાજ દરોમાં 0.5થી 0.75 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે. આ પ્રકારે લોંગ ટર્મ ફિક્સ્ડ ડિપોઝીટ પર રીટેલ સેગમેન્ટમાં વ્યાજ દરોમાં 0.20 અને બલ્ક સેગમેન્ટમાં 0.35 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. દેશની સૌથી મોટી બેન્કે બે કરોડ રૂપિયા અને તેનાથી વધારેની  ડિપોઝીટ પર વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

એસબીઆઇ દ્ધારા ડિપોઝીટ પર વ્યાજ દરોમાં ઘટાડો કરતા એફડી રોકાણકારો માટે ખરાબ સમાચાર છે. સરકારે એનપીએસ, કિસાન વિકાસ પત્ર અને પીપીએફ જેવી નાની બચત સ્ક્રીમો પર પણ વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. જૂનમાં 10 બેસિસ પોઇન્ટ્સમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. બીજી તરફ જૂનમાં આરબીઆઇ દ્ધારા રેપો રેટમાં ઘટાડા  બાદ બેન્કોએ એફડી પર વ્યાજ દર ઘટાડો શરૂ કર્યો છે.