Stock Market Closing,19th March 2024: ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ અમંગળ સાબિત થયો છે. વૈશ્વિક સંકેતોના કારણે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી અને દિવસના અંતે પણ માર્કેટ મોટા ઘટાડા સાથે બંધ થયું. BSE સેન્સેક્સ 736.37 પોઈન્ટ્સ અથવા 1.01 ટકાના ઘટાડા સાથે 72,012.05 પર અને NSE નિફ્ટી 238.25 પોઈન્ટ્સ અથવા 1.08 ટકાના ઘટાડા સાથે 21,817.45 પર બંધ થયો હતો. ચોતરફ આવેલી વેચવાલીના કારણે સેન્સેક્સ અને નિફ્ટી 1 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા. આજના ઘટાડાના કારણે રોકાણકારોના 5 લાખ કરોડ સ્વાહા થઈ ગયા હતા. આજે BSEનું માર્કેટ કેપ ઘટીને રૂ. 373.96 લાખ કરોડ થયું છે, જ્યારે સોમવારે માર્કેટ કેપ રૂ. 378.80 લાખ કરોડ હતી.


સેન્સેક્સના શેરની હાલત


સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 7 શેરોમાં વધારો અને 23 શેરો ઘટાડા સાથે બંધ થયા હતા. સૌથી વધુ વધતા શેરોમાં બજાજ ફાઇનાન્સ 1.38 ટકા અને કોટક મહિન્દ્રા બેન્ક 0.57 ટકાનો સમાવેશ થાય છે. ICICI બેન્ક 0.26 ટકાના વધારા અને ભારતી એરટેલ 0.23 ટકાના વધારા સાથે બંધ રહ્યા હતા.


નિફ્ટી શેરની સ્થિતિ 


નિફ્ટીના 50 શેરોમાંથી માત્ર 9 શેરો ઉછાળા સાથે અને 41 શેર નબળાઈ સાથે લાલ નિશાન પર બંધ થયા હતા. સૌથી વધુ વધતા શેરોમાં, બજાજ ઓટો 1.47 ટકા અને બજાજ ફાઇનાન્સ 1.25 ટકા વધ્યા હતા. આઇશર મોટર્સના શેરમાં 0.87 ટકાના વધારા સાથે ટ્રેડિંગ બંધ થયું. કોટક મહિન્દ્રા બેંક 0.73 ટકા જ્યારે એચડીએફસી બેંક 0.27 ટકા અપ બંધ કરવામાં સફળ રહી છે.


નિફ્ટીના તમામ ક્ષેત્રીય સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા છે


આજના કારોબારમાં નિફ્ટીના તમામ ક્ષેત્રીય સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા છે. આઇટી સેક્ટરમાં સૌથી વધુ 2.90 ટકા અને મીડિયા સેક્ટરમાં 2.45 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. FMCG સેક્ટરમાં પણ કારોબાર 2.16 ટકાના તીવ્ર ઘટાડા સાથે બંધ થયો છે.


બેંક નિફ્ટી પણ તૂટ્યો


બેન્ક નિફ્ટી આજે 191.10 પોઈન્ટ્સ અથવા 0.41 ટકાના ઘટાડા સાથે 46,384 પર બંધ થયો હતો અને 12માંથી માત્ર 4 શેર જ વધારા સાથે બંધ થયા હતા. 8 શેરોમાં નબળાઈ પ્રવર્તી હતી અને તેમણે બેન્ક નિફ્ટીને નીચે ખેંચી હતી.


ભારતીય શેરબજારમાં ઘટાડાના મુખ્ય કારણ


20મી માર્ચે યોજાનારી યુએસ ફેડરલ રિઝર્વની બેઠકમાં ફેડના ચેરમેન જેરોમ પોવેલ વ્યાજદરમાં ફેરફાર કરે તેવી દહેશત સ્થાનિક બજારોમાં છવાઈ ગઈ હતી. આ કારણે આજે બેંક શેરોમાં ઓલ રાઉન્ડ વેચવાલી જોવા મળી. જેના રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર થઈ હતી. આ ઉપરાંત જાપાન આઠ વર્ષનાં નકારાત્મક વ્યાજ દરોનો અંત લાવવાની જાહેરાત કરી હતી, જેની પણ ભારતીય શેર માર્કેટ પર અસર જોવા મળી હતી.