AIr India: ટાટા ગ્રૂપની માલિકીની દેશની ભૂતપૂર્વ સરકારી એરલાઈન એર ઈન્ડિયાને આંચકો લાગ્યો છે. યુએસ સરકારે એર ઈન્ડિયા પર 1.4 મિલિયન ડોલરનો દંડ લગાવ્યો છે. આ સિવાય એર ઈન્ડિયાને યાત્રીઓને 121.5 મિલિયન ડોલર પરત કરવા પણ કહેવામાં આવ્યું છે. જાણો આખરે શા માટે આ દંડ અને રિફંડનો ઓર્ડર આવ્યો છે.


એર ઈન્ડિયા પર આ દંડ શા માટે લાદવામાં આવ્યો


કોવિડ-19 મહામારી દરમિયાન એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ કેન્સલ થવાથી અથવા તેમના સમયપત્રકમાં ફેરફારથી અસરગ્રસ્ત મુસાફરોને ટિકિટના પૈસા પરત કરવામાં વિલંબને કારણે એર ઈન્ડિયાને દંડ ફટકારવામાં આવ્યો છે અને રિફંડ ઓર્ડર જારી કરવામાં આવ્યા છે. જો કે, રિફંડમાં વિલંબના આ કિસ્સાઓ ટાટા જૂથ દ્વારા એર ઈન્ડિયાના હસ્તાંતરણ પહેલાના છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશનનું કહેવું છે કે એર ઈન્ડિયાની રિફંડ પોલિસી હેઠળ મુસાફરોને તેમના રિફંડ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ કારણોસર એર ઈન્ડિયાને પેસેન્જરોને પૈસા પાછા આપવાનો આદેશ આપવામાં આવ્યો છે અને દંડ પણ ભરવો પડશે.


યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન 6 એરલાઇન્સને રિફંડનો આદેશ આપ્યો


યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ ટ્રાન્સપોર્ટેશને સોમવારે જણાવ્યું હતું કે એર ઇન્ડિયા એ છ એરલાઇન્સમાં સામેલ છે જેને મુસાફરોને કુલ $600 મિલિયન રિફંડ પરત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. એર ઈન્ડિયા ઉપરાંત ફ્રન્ટિયર, TAP પોર્ટુગલ, એરો મેક્સિકો, EI AI અને Avianca Airlinesને પણ યુએસ સરકારે દંડ ફટકાર્યો છે.


અધિકારીઓએ શું કહ્યું


અમેરિકી અધિકારીઓએ જણાવ્યું હતું કે એર ઈન્ડિયા દ્વારા મુસાફરોની વિનંતી પર રિફંડની જોગવાઈ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશનની નીતિઓની વિરુદ્ધ છે. અમેરિકી સરકારે એક નિયમ બનાવ્યો છે કે ફ્લાઇટ કેન્સલ અથવા બદલાવના કિસ્સામાં, એરલાઇનને કાયદેસર રીતે પેસેન્જરની ટિકિટના પૈસા પાછા આપવા પડશે. વિભાગીય તપાસમાં જાણવા મળ્યું છે કે એર ઈન્ડિયાએ અડધાથી વધુ રિફંડ અરજીઓ પર પ્રક્રિયા કરવામાં 100 દિવસના નિર્ધારિત સમય કરતાં વધુ સમય લીધો હતો.


એર ઈન્ડિયાને રિફંડ આપવાનો આદેશ કેમ આપવામાં આવ્યો?


એક સત્તાવાર તપાસ મુજબ, એર ઈન્ડિયાને પરિવહન વિભાગમાં દાખલ કરવામાં આવેલી 1,900 રિફંડ ફરિયાદોમાંથી અડધાથી વધુને ઉકેલવામાં 100 દિવસથી વધુ સમય લાગ્યો હતો. આ રિફંડ એ ફ્લાઈટ્સ માટે આપવાનું રહેશે જે એર ઈન્ડિયા દ્વારા રદ કરવામાં આવી હતી અથવા તેમના સમય અને સમયપત્રકમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા હતા.