Adani Group: ગૌતમ અદાણીના અદાણી ગૃપે એક નિવેદન જાહેર કરીને કહ્યુ છે કે, ઉત્તરાખંડમાં સિલ્ક્યારા ટનલના નિર્માણમાં ગ્રૂપની કોઈપણ સબસિડિયરી કંપની સામેલ નથી. અદાણી ગૃપે તેના પર લગાવવામાં આવેલા આરોપોને ઘૃણાસ્પદ ગણાવ્યા છે જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે ટનલ બનાવનારી કંપનીમાં તેના શેર હતા.


ખરેખરમાં, સોશિયલ મીડિયા પર સતત એવું કહેવામાં આવી રહ્યું હતું કે સિલ્ક્યારા ટનલના નિર્માણ સાથે સંકળાયેલી કંપની અદાણી ગૃપ સાથે સંબંધ ધરાવે છે અને અદાણી ગૃપ બાંધકામ કંપનીમાં હિસ્સો ધરાવે છે. જે બાદ અદાણી ગૃપે આ આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે ટનલના નિર્માણ સાથે અદાણી ગૃપને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ લેવાદેવા નથી. અદાણી ગૃપના પ્રવક્તાએ કહ્યું કે ટનલ કન્સ્ટ્રક્શન કંપનીમાં ગૃપ પાસે કોઈ શેર નથી. તેમણે કહ્યું કે, અમે ભારપૂર્વક સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે અદાણી ગૃપ અથવા તેની કોઈપણ પેટાકંપનીની ટનલના નિર્માણમાં કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ સંડોવણી નથી. તેમણે એમ પણ કહ્યું કે અમે એ પણ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે બાંધકામ સાથે સંકળાયેલી કંપનીમાં અમારી પાસે કોઈ શેર નથી કે અમારી માલિકી નથી.


ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે ઉત્તરાખંડ ટનલ કઈ ખાનગી કંપની દ્વારા બનાવવામાં આવી રહી છે? જ્યારે આ ટનલ પડી ત્યારે તેના શેરધારકો કોણ હતા? શું અદાણી ગૃપ પણ આમાંથી એક છે? હું ખાલી પુછુ છુ?






સિલ્ક્યારા ટનલ, જે ચાર ધામ સર્વ-હવામાન સુલભતા પ્રૉજેક્ટનો ભાગ છે. હૈદરાબાદ સ્થિત નવયુગ એન્જિનિયરિંગ કંપની લિમિટેડ આ ટનલનું નિર્માણ કરી રહી છે. અદાણી ગૃપે તેનું નામ અકસ્માત સાથે જોડવાના કોઈપણ નાપાક પ્રયાસની નિંદા કરી અને કહ્યું કે, આ સમયે અમારા વિચારો અને પ્રાર્થના ફસાયેલા કામદારો અને તેમના પરિવારો સાથે છે.