નવી દિલ્હીઃ એડજેસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (એજીઆર)ના કારણે વોડાફોન આઈડિયાએ બીજા ક્વાર્ટરમાં 50,921 કરોડ રૂપિયાની જંગી ખોટ દર્શાવી છે. આ પહેલા વિતેલા વર્ષે બીજા ક્વાર્ટરમાં કંપનીએ 4,947 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી. આ ભારતના કોર્પોરેટ ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ક્વાટર્લી ખોટ છે.


આ પહેલા ટાટા મોટર્સે ડિસેમ્બર 2018માં પૂરા થતા ક્વાર્ટરમાં 26,961 કરોડ રૂપિયાની ખોટ નોંધાવી હતી. વોડાફોને કહ્યું કે, કારોબર જારી રાખવા માટે હવે તે સરકારી રાહત પર નિર્ભર છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, ‘એજીઆરના મામલે કોર્ટના આદેશથી ઉદ્યોગ પર અસર પડી રહી છે.’ વોડાફોન આઈડિયાને ઓપરેશન્સથી થતી રેવન્યુ પણ 22,114 કરોડ રૂપિયાથી ઘટીને 10,844 રૂપિયા થઈ ગઈ.



કંપનીનો Ebitda (વ્યાજ, ટેક્સ, અવમૂલ્યન અને દેવા ચૂકવણી પહેલાની આવક) આ ક્વાર્ટરમાં રૂ. 3,347.10 કરોડ રૂપિયા રહી, જે ગત વર્ષે આ જ ગાળામાં 461.40 કરોડ રૂપિયા હતી.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વોડાફોન આઈડિયાએ લગભગ 44,150 કરોડ રૂપિયા સરકારને ચૂકવવાના થાય છે. 2019-20ના બીજા ક્વાર્ટરમાં આ બાકી રકમ ચૂકવવા માટે કંપનીએ 25,680 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે, જેનાથી કંપનીને ખોટ થઈ છે.

વોડાફોન આઈડિયાએ કહ્યું કે, કંપનીનું ચાલવાનું એ વાત પર નિર્ભર કરશે કે સરકાર તરફથી રાહત મળે છે કે નહીં અને કાયદાકીય મામલાનું કઈ સકારાત્મક સમાધાન થાય છે કે નહીં.

વોડાફોન આઈડિયા લિમિટેડના એમડી અને સીઈઓ રવિન્દર ટક્કરે કહ્યું કે, ‘ સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાના પગલે અમે નાણાકીય રાહત મેળવવા માટે સરકાર સાથે ચર્ચા કરી રહ્યા છીએ. સાથે જ અમે અમારા કી માર્કેટ્સમા રેપિડ નેટવર્ક ઈન્ટિગ્રેશન અને 4જી કવરેજ અને કેપેસિટી એક્સપેન્શન પર વધારે ફોકસ કરી રહ્યા છીએ.’