મુંબઈઃ એમોઝોનની ફરિયાદ મામલે સિંગાપુર સ્થિત આર્બિટ્રેટરે રિલાયન્સ અને ફ્યૂચર્સ ગ્રુપની ડીલને અટકાવી દેતા કંપનીના સ્ટોકમાં પાંચ મહિનાનો સૌથી મોટો કડાકો બોલી ગયો હતો. સોમવારે કંપનીનો સ્ટોક બીએસઈ ખાતે 3.97 ટકા ઘટીને 2028.70ની સપાટી પર બંધ રહ્યો હતો. આ પહેલા 14 મેના રોજ 4 ટકાનો કડાકો જોવા મળ્યો હતો.


ગઈકાલે કંપનીનો શેરમાં કડાકો બોલતા જ 16 સપ્ટેમ્બરે સ્ટોકે દર્શાવેલી 2369ની ટોચથી 10 ટકા તૂટ્યો છે. બીજી બાજુ ફ્યૂચર ગ્રુપની તમામ લિસ્ટેડ કંપનીના સ્ટોકમાં નીચલી સર્કિટ લાગી હતી.

આ મામલે રિલાયન્સે કહ્યું હતું કે, ભારતીય કાયદા મુજબ તેને ફ્યૂચર્સ ગ્રુપની ખરીદીની છૂટ આપે છે માટે તે આ ડીલમાં આગળ વધશે. જોકે આ નિવેદન છતાં બન્ને ગ્રુપની કંપનીના સ્ટોકમાં કડાકો બોલી ગયો હતો.

રિલાયન્સના સ્ટોકમાં 4 ટકા જેટલો ઘટાડો આવતા નિફ્ટીમાં પણ સોમવારે 152 પોઈન્ટનું ગાબડું પડ્યું હતું. જેમાં 60 પોઈન્ટનું યોગદાન તો માત્ર રિલાયન્સ તરફથી હતું. રિલાયન્સના સ્ટોકમાં આટેલું મોટું ગાબડું પડતા જ રોકાણકારોએ એક જ દિવસમાં 70 હજાર કરોડ રૂપિયા ગુમાવ્યા હતા.

નોંધનીય છે કે, રિલાયન્સે 3.7 અબજ ડોલરમાં ફ્યૂચર્સ ગ્રુપનો તમામ બિઝનેસ ખરીદવાની જાહેરાત કરી હતી. જેને એમેઝોને સિંગાપુર સ્થઇતિ મધ્યસ્થી કોર્ટમાં પડકારી હતી.

આ મામલે રિલાયન્સ રિટેલ વેન્ચર્સે જણાવ્યું હતું કે, ફ્યૂચર રિટેલ લિમિટેડની અસ્કયામતો અને વ્યવસાયના હસ્તાંતરણ માટે યોગ્ય કાયદાકિય સલાહ લેવાઈ છે અને ભારતીય કાયદા અનુસાર તેનો અમલ પણ થશે. રિલાયન્સ કોઈપણ પ્રકારના વિલંબ વગર આ સોદો પાર પાડવા માટે પ્રતિબદ્ધ છે.