ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરકારની છાપ સુધારવા ભ્રષ્ટાચાર મુક્ત શાસનની પ્રતીતિ માટે પગલાં ભરવાના શરૂ કર્યા છે. રાજ્યમાં પહેલીવાર મહેસુલ,પંચાયત, અને ગૃહ વિભાગના 34 જેટલા કર્મચારી અધિકારીઓ સામે ફરજ મોકૂફી અને સસ્પેન્ડ જેવા પગલાં ભરાયા છે. જયારે 3434 કર્મચારી અધિકારીઓની તાકીદની અસરથી બદલી કરવાના આદેશ કર્યા છે.


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પદભાર સંભાળ્યા પછી ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાની નેમ વ્યક્ત કરી હતી. તે માટે હવે પગલાં ભરવાની શરૂઆત પણ કરી છે. રાજ્યના 33 જિલ્લામાં ભ્રષ્ટાચારથી ખરડાયેલા અધિકારી કર્મચારી સામે શિક્ષાત્મક પગલાં ભર્યા છે. જેમાં મહેસુલ અને પંચાયત સેવાના 20 કર્મચારીઓને ફરજ મોકૂફી સસ્પેન્ડ કર્યાનો આદેશ કર્યો છે. જયારે 743 નાયબ મામલતદાર, 987 રેવન્યુ અને પંચાયત તલાટી તથા 36 ચીટનીશ નાયબ ચીટનીશ સામે દંડાત્મક કાર્યવાહીની સૂચના આપી છે. આ કેડરના 765 કર્મચારીઓની બદલીના હુકમો કરાયા છે. જયારે ગૃહ વિભાગમાં પણ સાફસૂફી કરવામાં આવી છે. પોલીસ દળના 14 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે. 23 આસિસ્ટંટ સબઇન્સપેક્ટર, 151 હેડકોન્ટેબલ સામે દંડાત્મક કાર્યવાહી અને 725 પોલીસ કર્મચારીઓની બદલીના આદેશો કરાયા છે.