અમરેલી: સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર યથાવત રહી છે. સૌરાષ્ટ્રમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે તુલસીશ્યામ અને ખાંભા પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જ્યારે ગીર પંથકના તાંતણીયા, ધવાડિયા, ગીદારડી, ભણીયા, પાતળા સહિત ગીર જંગલ ગામડાઓમાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે ઉનાના ધોકડવા ગામે બે કલાકમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.

ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ખાંભાના ચતુરી, ખાડધાર, બોરાળા, કાંટાળા, ધૂધવાણા, પાચપચીયા,દલડી, તાલડા, હનુમાનપુર સહિતના ગામડામાં ધોધમાર વરસાદ પડતાં ખેતરો બહાર પાણી નીકળી ગયા હતા.

આ સિવાય ગોંડલ પંથકમાં પણ વરસાદ નોંધાયો હતો. તેમજ જસદણમાં પણ ધોધમાર વરસાદથી નદી-નાળામાં પૂર જેવી સ્થિતી જોવા મળી હતી. ગીરગઢડા પણ ભારે વરસાદ પડ્યો છે. પૂર્વ ગીરના જામવાળા, થોરડી, ભાખા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડતા મછુન્દ્રી ડેમમાં નવા નીર આવ્યા છે.

ઉના શહેરમાં પણ ભારે વરસાદ પડ્યો છે. જ્યારે ખીલાવડમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. ગીરના ઉપરવાસમાં હળવાથી મધ્યમ વરસાદ છે તો મછુન્દ્રી ડેમ પર અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.