ગાંધીનગરઃ રાજ્યની રૂપાણી સરકારે મોટી જાહેરાત કરી છે. જે અંતર્ગત મુખ્યમંત્રી મહિલા કલ્યાણ યોજના હેઠળ 10 લાખથી વધુ માતાઓ-બહેનોને 0 ટકા વ્યાજે લોન ધિરાણ અપાશે. રાજ્યમાં 10 લાખ જેટલી મહિલાઓને આ યોજનાનો લાભ મળશે. 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી મહિલા ઉત્કર્ષ યોજનાની રાજ્યની માતૃશક્તિને ભેટ આપશે.


મુખ્યમંત્રીએ રૂપિયા 175 કરોડનું બજેટ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માટે ફાળવ્યું છે. 10 મહિલાઓ-બહેનોના એક જૂથ એમ 1 લાખ જૂથ બનાવાશે. પ્રત્યેક જૂથને એક લાખનું લોન-ધિરાણ તેમજ પ્રત્યેક માતા-બહેનોને પોતાનો નાનો-મોટો વ્યવસાય, ગૃહ ઉદ્યોગ, વેપાર શરૂ કરવા વગર વ્યાજે લોન ધિરાણ મળી રહેશે.


1000 કરોડ સુધીનું ધિરાણ મહિલા જૂથોને અપાશે

આ યોજના હેઠળ કુલ 1000 કરોડ સુધીનું ધિરાણ મહિલા જૂથોને અપાશે. બેંક લોનનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે અને લોન માટે જરૂરી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી અપાશે. મહિલા જૂથ દીઠ રૂ. 1 લાખનું લોન-ધિરાણ સરકારી, સહકારી, ખાનગી બેંકો, આરબીઆઈ માન્ય ધિરાણ સંસ્થાઓમાંથી મળશે.

રાજ્યની લાખો બહેનોને આત્મનિર્ભર બનાવવા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાથી પોતાના નાના વ્યવસાયો, ગૃહ ઉદ્યોગ શરૂ કરી પોતાનાં કૌવત, કૌશલ્ય અને સપનાં સાકાર કરવાની તક આપવામાં આવશે.

આ યોજનાથી કોરોના પછીની સ્થિતિમાં માતા-બહેનોને ઘર-પરિવારનો આર્થિક આધાર બનવા સાથે નાના માણસની મોટી લોનનું મુખ્યમંત્રીનું ધ્યેય પણ સાકાર થશે.