ગાંધીનગરઃ ભાજપમાંથી રાજીનામું આપીને ખળભળાટ મચાવનારા ભરૂચના સાંસદ મનસુખ વસાવા અંતે પાણીમાં બેસી ગયા છે. મંગળવારે રાજીનામું આપનારા મનસુખ વસાવાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યા પછી રાજીનામું પાછું ખેંચવાની જાહેરાત કરી હતી.


આઘાતજનક વાત એ છે કે, મનસુખ વસાવાએ રાજીનામું પાછું ખેંચવા માટે પોતાની ખરાબ તબિયતનું કારણ આપ્યું હતું અને  સાવ જૂઠું બોલતાં કહ્યું કે, મેં મારા રાજીનામાના પત્રમાં ખરાબ સ્વાસ્થ્યનો ઉલ્લેખ કર્યો છે. એબીપી અસ્મિતાના પત્રકારે વસાવાને યાદ અપાવી કે તેમના પત્રમાં ક્યાંય ખરાબ સ્વાસ્થ્યનો ઉલ્લેખ નથી એ છતાં વસાવાએ જૂઠાણું ચલાવ્યા કર્યું હતું કે, મેં રાજીનામું આપ્યું તે માટે સરકાર કે પક્ષ તરફથી મને કોઈ તકલીફ હોવાનું કારણ જવાબદાર નથી પણ મારી શારીરિક તકલીફનાં કારણે મે રાજીનામું આપ્યું હતું અને તેનો મેં પત્રમાં ઉલ્લેખ કર્યો જ છે.

મનસુખ વસાવાએ પહેલાં નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં નર્મદા જિલ્લામાં ઈકો-સેન્સિટિવ ઝોન મુદ્દે ભારે નારાજગી અને ગુસ્સો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલને લખેલા રાજીનામાના પત્રમાં વસાવાએ ક્યાંય પોતાની તબિયત ખરાબ હોવાનો ઉલ્લેખ કર્યો નથી. વસાવાએ પાટિલને લખેલા પત્રમાં મારા કારણસર પક્ષને નુકસાન ના થાય તે કારણસર હું રાજીનામું આપું છું એવો ઉલ્લેખ કર્યો છે. આ પત્ર અહીં આપ્યો છે ને તેમાં ક્યાંય ખરાબ સ્વાસ્થ્યની વાત તેમણે લખી નથી પણ ટીવી ચેનલો અને એબીપી અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં તેમણે પત્રમાં ખરાબ સ્વાસ્થ્યનો ઉલ્લેખ કર્યો હોવાનું રટણ કર્યા કર્યું.