PM Modi Gujarat Visit: પીએમ મોદીની ગુજરાત મુલાકાતને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તો બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનની આ મુલાકાત દરમિયાન અંબાજીધામ, ખેરાલુ અને એકતાનગર ખાતે યોજાનારા લોકાર્પણ-ખાતમુહૂર્તના વિવિધ વિકાસકામો સહિતના કાર્યક્રમોના આયોજનને આખરી ઓપ આપ્યો છે.


આ હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠકમાં સંબંધિત જિલ્લા કલેક્ટરો અને વહીવટી તંત્ર સાથે વિડિયો કોન્ફરન્સ બેઠક યોજવામાં આવી હતી. મુખ્યમંત્રીએ યાત્રાધામ અંબાજીના સમગ્ર પરિસરની સ્વચ્છતા-સફાઈ, જાહેર સભામાં આવનારા લોકો-જનતા જનાર્દન માટે પાણી, છાશ વિતરણ તથા આરોગ્ય વિષયક સેવાઓ સરળતાએ મળી રહે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું.


 






વડાપ્રધાનના કાર્યક્રમના સ્થળોએ આવતા સામાન્ય નાગરિકોને વાહન-વ્યવહાર, યાતાયાતમાં કોઈ અવરોધ ન રહે તેવું ટ્રાફિક નિયમન થાય તે અંગે મુખ્યમંત્રીશ્રીએ પોલીસ તંત્રને સૂચનો કર્યાં હતાં. મુખ્ય સચિવ રાજકુમારે મહેસાણા, બનાસકાંઠા અને નર્મદા જિલ્લાના કલેક્ટરોને વડાપ્રધાનની સમગ્ર મુલાકાત દરમિયાન સફાઈ વ્યવસ્થા, કાયદો વ્યવસ્થાની સ્થિતિ વગેરે જળવાઈ રહે તે જોવા ખાસ તાકીદ કરી હતી.


આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા મહેસાણા કલેક્ટરાયલથી, તેમ જ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરી નર્મદાથી અને પોલીસ મહા નિદેશક વિકાસ સહાય ભરૂચથી વિડિયો કોન્ફન્સ દ્વારા જોડાયા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તલસ્પર્શી આયોજનથી માહિતગાર કર્યા હતા. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન અને વરિષ્ઠ સચિવો ગાંધીનગરથી જોડાયા હતા.


સરદાર પટેલ જયંતી નિમિત્તે આગામી 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમાની પાદપૂજા કરીને સમગ્ર દેશવાસીઓ તરફથી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ તેઓ એકતાનગર ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીમાં ઉપસ્થિત રહી પોલીસદળના જવાનો દ્વારા થનારી એકતા પરેડનું નિરીક્ષણ કરશે અને તમામ લોકોને રાષ્ટ્રીય એકતા દિવસના શપથ પણ લેવડાવશે.


વડાપ્રધાન આ વર્ષે યોજાનારા ‘આરંભ’ (AARAMBH) કાર્યક્રમમાં હાજરી આપી ઓફિસર તાલીમાર્થીઓને સંબોધિત કરશે. આરંભ કાર્યક્રમનું  આ પાંચમું સંસ્કરણ હશે, જેની આ વર્ષની થીમ છે, ‘હારનેસિંગ ધ પાવર ઓફ ડિસરપ્શન’. 


આ સાથે જ વડાપ્રધાનના હસ્તે  વિવિધ વિકાસકામો અને પ્રવાસન આકર્ષણોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેમાં ગ્રીન ઇનિશિયેટિવ હેઠળ 5 પ્રોજેક્ટ્સ, 3 પ્રવાસન આકર્ષણો અને 3 ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું  લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઇ રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટી (SOUADTGA) પ્રકૃતિ, સંસ્કૃતિ અને પાણી (નેચર, વોટર એન્ડ કલ્ચર)ના સંરક્ષણ સાથે એકતાનગરનો વિકાસ કરવા માટે પ્રતિબદ્ધ છે.