ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે સાંજે ગાંધીનગરના દહેગામ તાલુકાના કરોલી ગામના અમૃત સરોવરના નિરીક્ષણ માટે ઓચિંતા જ પહોંચી ગયા હતા. મુખ્યમંત્રીએ અમૃત સરોવરની પ્રગતિ હેઠળની કામગીરીનું નિરીક્ષણ અને ગુણવત્તા ચકાસણી પણ સ્થળ ઉપર જ કરી હતી. વડાપ્રધાને દેશના અમૃતકાળમાં દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવર નિર્માણના કરેલા આહવાનને ઝીલી લઇને ગુજરાતે અમૃત સરોવર નિર્માણ વેગવંતુ બનાવ્યું છે. 


મુખ્યમંત્રીના દિશા નિર્દેશનમાં રાજ્ય સરકારે મે-૨૦૨૩  સુધીમાં ૨,૪૭૦ અમૃત સરોવર સાઇટ પર કામગીરી પૂર્ણ કરી છે. આવા અમૃત સરોવર ૧ એકર વિસ્તારમાં નિર્માણ કરવામાં આવે છે અને અંદાજે ૧૦,૦૦૦ ક્યુબીક મીટર જળસંગ્રહ ક્ષમતા ધરાવે છે. અમૃત સરોવરના નિર્માણમાં જળસંચય સાથે જનભાગીદારી પ્રેરીત કરવાનો ઉદાર અભિગમ રાખવામાં આવેલો છે. મુખ્યમંત્રી આવા અમૃત સરોવરની કામગીરીના પ્રત્યક્ષ નિરક્ષણ માટે ગાંધીનગરના દહેગામ તાલુકાના કરોલી ગામે અચાનક પહોંચ્યા હતા. તેમણે દહેગામના હરસોલી ગામની મુલાકાત લઇને ગ્રામજનો સાથે સંવાદ કર્યો સાથે ચાની ચૂસકી પણ લીધી હતી. સાથે સાથે ગામમાં આવેલા માતાના મંદિરના દર્શન પણ કર્યા હતા. 


ઉત્તર ગુજરાતના આ બે તાલુકાને પાણીની તંગીમાંથી મળશે કાયમી મુક્તિ


ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના બે અતિ સૂકા તાલુકા એવા થરાદ અને ધાનેરા તાલુકાના ગામોના તળાવો નર્મદાના પાણીથી ભરવાનો મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ બન્ને તાલુકાઓમાં ઉદવહન પાઈપલાઈનનું આયોજન કરીને સિંચાઇથી વંચિત એવા આ વિસ્તારોમાં ભૂગર્ભ જળ ઊંચા લાવવાનો નિર્ણય કર્યો છે. 


બનાસકાંઠા જિલ્લાના આ બે તાલુકાઓમાં કોઇ મોટી સિંચાઇ વ્યવસ્થા ઉપલબ્ધ નથી. એટલું જ નહિ, થરાદ તાલુકાનો પૂર્વ તરફનો ઉપરનો વિસ્તાર સિંચાઇ વિહોણો છે. થરાદ અને ધાનેરા તાલુકાઓને સિંચાઇ માટે પૂરતું પાણી મળી રહે તેની અતિ આવશ્યકતાને ધ્યાનમાં લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બન્ને તાલુકાઓના ગામોના ર૦૦ થી વધારે સરકારી પડતર તળાવોને નર્મદા નહેર આધારિત ઉદવહન પાઇપલાઇનથી આવરી લેવાના દિશાનિર્દેશો આપ્યા છે. 


આ સંદર્ભમાં ૬૧ કી.મી લાંબી  મુખ્ય પાઇપલાઇન  અને ૧૩૫ કી. મીટર લાંબી પેટા લાઈન દ્વારા ર૦૦ ક્યુસેક્સ પાણી ઉદવહન કરવા માટે આશરે ૩ પમ્પીંગ સ્ટેશન બનાવવા સહિતની સમગ્ર યોજનાકીય કામગીરી માટે ૧૪૧૧ કરોડ રૂપિયાની રકમ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.   અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, નર્મદા મુખ્ય નહેર આધારિત પ્રગતિ હેઠળની ર અને પૂર્ણ થયેલી ૧ર એમ કુલ ૧૪ ઉદવહન પાઇપલાઇનોની કુલ ક્ષમતા ૩૩૭પ ક્યુસેક્સ દ્વારા મહત્તમ ૦.૬૦ MAF પાણી ઉપાડવામાં આવે છે.  નર્મદાના વધારાના ૧ MAF પાણીના ઉદવહન માટે સ્થાપિત ક્ષમતા વધારવી પડે તેમ છે તે સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે થરાદ અને ધાનેરા તાલુકાના બાકી રહી જતા ગામોના ર૦૦ થી વધુ તળાવો નર્મદા જળથી ભરવાનો નિર્ણય કર્યો છે.