ધાનાણીનો આક્ષેપઃ એક લાખના ધમણ વેન્ટિલેટર પાછળ 2.91 લાખનો ખર્ચ, જાણો શું કરી કોમેન્ટ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 May 2020 09:48 AM (IST)
પરેશ ધાનાણીએ ટ્વિટમાં ધમણ 1 નીયો રાજકોટ ફાઉન્ડેશને દાન કર્યા હોવાનો ખુલાસો કર્યો છે.
ગાંધીનગરઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં કોરોનાની સારવાર માટે દાનમાં આપવામાં આવેલા સ્વદેશી ધમણ-1 વેન્ટિલેટરને લઈને રાજકારણ ભારે ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા ધમણ-1ને લઈને ગુજરાત સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ ધમણ-1ને લઈને મોટો આક્ષેપ લગાવ્યો છે. પરેશ ધાનાણીએ ટ્વિટ કર્યું છે કે, "સોના કરતા, ઘડામણ મોંઘુ". રૂ.'એક લાખ'ની કિંમતે દાનમા મેળવેલા ૮૬૬ જેટલા 'ધમણ-૧'ને ફરી ધમધમતા કરવા નંગ દિઠ રૂ.૨,૯૧,૭૭૫ જેટલો ખર્ચ કરનારી સરકારે અંદાજીત રૂ.૨૫,૨૬,૭૭,૧૫૦ જેટલા જંગી ખર્ચ માટે "ન્યૂ એરા માર્કેટિંગ-અમદાવાદ"ને વિના ટેન્ડરે નોતરૂ કોના ઈશારે અને શું કામે કાઢ્યું..? તેમણે અન્ય એક ટ્વિટ પણ કર્યું છે. જેમાં તેમણે "૮૮૮નો થયો, અકાળે અંત" એવાં ટાઇટલ સાથે સવાલો ઉઠાવ્યા છે કે, શું ધમણ-૧ અધુરૂ હતુ.? ધમણમાં શું શું હતી ખામી.? ક્યા ક્યા કર્યો હતો અખતરો.? કેટલા ઉપર ઉભો થયો ખતરો.? કેટલાની ફાટી ગઈ ધમણી.? શું મિત્રની કંપનીએ જ કાઢ્યુ મોતને નોતરૂ.? હવે લાખના ધમણ ઉપર ત્રણ લાખનો ખર્ચ.? ન્યુ એરા માર્કેટિંગનુ ક્યા છે કનેકશન.? તેમણે હેશટેગ #ગુજરાત_બચાવો_અભિયાન સાથે ટ્વીટ કર્યું છે. પરેશ ધાનાણીએ ટ્વિટમાં ધમણ 1 નીયો રાજકોટ ફાઉન્ડેશને દાન કર્યા હોવાનો ખુલાસો કર્યો છે. ધમણ 1 દાન કરવા માટે પરેશ ધાનાણીએ નીયો રાજકોટ ફાઉન્ડેશન અને દાતાઓનો આભાર પણ માન્યો છે. પરેશ ધાનાણીએ ટ્વીટમાં નીયો ફાઉન્ડેશનનો દાનની અપીલ માટેનો પત્ર પણ એટેચ કર્યો છે.