ગાંધીનગરઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ લોકડાઉન-3 ચાલી રહ્યું છે. હવે આ લોકડાઉન-3 17મી મેના રોજ પૂર્ણ થવા જઈ રહ્યું છે. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન-4ના સંકેતો અગાઉથી આપી દીધા છે. ત્યારે હવે લોકડાઉન-4માં શું શું છૂટછાટ મળશે તેના પર સૌની નજર મંડાયેલી છે.


રાજ્ય સરકારની કમિટી દ્વારા રેડ ઝોન, ઓરેંજ ઝોન અને ગ્રીન ઝોનમાં કયા કયા પ્રકારની છૂટછાટ આપવામા આવશે તે અંગે કેન્દ્ર સરકારને અભિપ્રાય આપવામાં આવશે. લોકડાઉન-4માં ગુજરાતમાં મોટી રાહત મળવાની આશા પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત સિવાયના વિસ્તારોમાં કામ-ધંધા શરૂ કરવાની અગાઉથી પરવાનગી આપી દીધી છે. આમ, ગુજરાતના 70 ટકા વિસ્તારોમાં કામ-ધંધા, ખેતીકામ, માર્કેટિંગ યાર્ડ, ટ્રાન્સપોર્ટેશન સહિતના કામકાજ શરૂ થઈ ગયા છે. ગુજરાતમાં તબક્કાવાર કામ-ધંધા અને દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવશે. કમિટી કેવી રીતે ધીમે ધીમે લોકડાઉન હળવું કરી શકાય તેની ભલામણ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે ગાંધીનગર સરખેજ હાઇવેના બની રહેલા સિક્સ લેન રોડની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા. અહીં તેમણે પણ લોકડાઉન-4ને લઈને વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોરોના અને લોકડાઉનના સમયગાળા દરમિયાન રોડની કામગીરી થોડો સમય બંધ કરવામાં આવી હતી, પરંતુ ફરી એક વખત હવે રોડની કામગીરી પુન શરૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે માર્ગ મકાન વિભાગ નાં કામો શરૂ કરવાની પરવાગી કેન્દ્ર સરકાર દ્વારા આપવામા આવી છે. 300 કરતા વધું મોટા માર્ગ મકાન વિભાગનાં કામો હાલ ચાલુ કરી દેવામાં આવ્યાં છે.