ગાંધીનગરઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજથી અનલોક-1નો પ્રારંભ થઈ ગયો છે. આ સાથે ગુજરાતમાં વેપાર-ધંધા શરૂ થઈ ગયા છે. તેમજ રાજ્યમાં એસ.ટી. બસ સેવાને પણ મંજૂરી આપી દેવામાં આવ્યા છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્કૂલો શરૂ કરવા મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું છે.


નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં જૂન મહિનામાં શાળાઓમાં વેકેશન હોય છે. શાળા સંચાલકો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ શાળાઓ શરૂ કરવા નિર્ણય કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, કોરોના મહામારીમા બે મહિના દરમિયાન રાજ્યમાં આરોગ્યની સેવાઓ, અન્ય વ્યવસ્થા અને સોશિયલ ડીસ્ટંસ જાળવવાનુ માર્ગદર્શન હતું. વાવાઝોડાના ભય સંદર્ભે આજે મુખ્યમંત્રીની મિટિંગ પણ હતી. અત્યાર સુધી મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી સંચાલન થતું હતું. તમામ બેઠકો પણ ત્યાં યોજાતી હતી. કોરોનાની મહામારી વચ્ચે જુદા જુદા કારણોસર સચિવાલય પણ બંધ રાખવું પડ્યું હતું.

ગાંધીનગરનું આખું મંત્રીમંડળ અને સચિવાલય સંકુલ પ્રજાકીય સેવાઓ માટે બંધ હતું. રાજ્યમાં વેપાર ધંધા વગેરેને મંજુરી અપાઈ છે. તમામ મંત્રીઓ સચિવાલયમાં આજથી હાજર રહેશે. સચિવ અને કર્મચારીઓ પણ હાજર રહેશે. કોરોના વાયરસના કારણે દુઃખદ અવસાન થયા એમને અમે ભુલ્યા નથી. અમે આજે પ્રથમ દિવસે આવતા વખતે જ અવસાન થયું છે, એમને મૌન રાખી શ્રદ્ધાંજલિ આપી છે.