ગાંધીનગરઃ પાટીદાર નેતા હાર્દિક પટેલ કોગ્રેસમાં જોડાતા જ ભાજપે પલટવાર કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાર્દિકના કોગ્રેસમાં જોડાવા પર કહ્યું હતું કે, હાર્દિક પટેલે પાટીદારો સાથે દગો કર્યો છે અને પાટીદારોને અંધારામાં રાખી સમાજ સાથે દગો કર્યો છે. નોંધનીય છે કે કોગ્રેસની સંકલ્પ રેલીમાં કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં હાર્દિક પટેલ સતાવાર રીતે કોગ્રેસમાં જોડાઇ ગયો હતો.

નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગાંધી પરિવારની ગાંધીજી પ્રત્યે કેટલી ભાવના છે, તે આજે જાહેર થઈ ગઈ. પ્રિયંકા ગાંધી વાડેરાએ જાહેરમાં કહ્યું કે હું પ્રથમ વખત ગુજરાત આવી અને સાબરમતી આશ્રમમાં આવી છું. જે નહેરૂ પરિવારે દાયકાઓ સુધી દેશમાં સાશન કર્યુ તે નહેરૂ પરિવારના દીકરી એક પણ વખત સાબરમતી આશ્રમ આવ્યા નથી તે સમજવા જેવું છે. તેમણે કહ્યું કે, હાર્દિકે અનામતનો મુદ્દો બનાવી ગુજરાતની શાંતિ જોખમી છે. તેણે સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ કર્યો છે.

નીતિન પટેલે કહ્યું કે,  અમે શરૂઆતથી જ કહેતા હતા કે આ વ્યક્તિ પાટીદારોને અનામતનો ફાયદો પ્રયાસ કરવાનો નથી પરંતુ કોગ્રેસનો એજન્ટ છે. કોગ્રેસની આર્થિક મદદથી, કોગ્રેસના ઇશારે આ વ્યક્તિ ભારતીય જનતા પક્ષ કે જે  95 ટકા પાટીદાર સમાજ સાથે રહ્યો છે, તેમાં ભાગલા પડાવી અને અન્ય જ્ઞાતિઓથી પાટીદારોને અલગ પાડવાની કોંગ્રેસની એક નીતિ હતી તેના એજન્ટ તરીકે કામ કરે છે.નીતિન પટેલે કહ્યું કે, હાર્દિક સતત કહેતો કે હું કોઈને મળીશ નહીં, હું મળવા જઈશ નહીં, પાટીદાર સમાજની સંસ્થાઓને હું માનતો નથી એવું પણ હાર્દિકે કહેલું. આ પ્રકારની વાત જે વ્યક્તિએ કરેલી તે કોંગ્રેસ પ્રેરિત હતી.”રાજકીય સામાજિક અશાંતિ ફેલાવવા અને કોંગ્રેસને ફાયદો થાય એવી વ્યક્તિ તરીકે કોંગ્રેસને હાર્દિક મળી ગયો હતો. હાર્દિકના કારણે જે શાંતિ ડહોળાઈ અને પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો અને તેમાં 14 યુવાનો શહીદ થયા હતા.