હાલમાં કોંગ્રેસના 62 જેટલા ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓ જયપુરના રિસોર્ટમાં છે ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ ધારાસભ્યોના ગુજરાતમાં પરત આવવા પર અને વિધાનસભા પ્રવેશ પર મોટું નિવેદન આપ્યું છે. નીતિન પટેલેના નિવેદન મુજબ વિધાનસભાના અધ્યક્ષ પરવાનગી આપશે તો રાજસ્થાન ગયેલા સદસ્યોની એક કસોટી થશે.
નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત કરતાં રાજસ્થાનમાં કોરોના વાયરસનો કહેર વધારે છે. આ સ્થિતિમાં કોંગ્રેસના સદસ્યો રિસોર્ટમાં રોકાયેલા છે. રાજ્યની સ્વાસ્થ્ય અને સલામતીને ધ્યાનમાં રાખતા આ તમામ સદસ્યોના વિધાનસભા ગૃહમાં પ્રવેશ કરતાં પહેલાં કોરોના વાયરસના ટેસ્ટ કરાવવા જોઈએ. જો વિધાનસભા અધ્યક્ષ મંજૂરી આપશે તો રાજસ્થાન ગયેલા વિધાનસભાના સદસ્યોનાં સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવશે. જે ધારાસભ્યોનું સ્વાસ્થ્ય સારું હશે તેને જ ગૃહમાં પ્રવેશ મળે તેવું મારું આરોગ્ય મંત્રી તરીકે મંતવ્ય છે.