ગાંધીનગર: રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ગુજરાતના શિક્ષણને લઈને આપેલા નિવેદન બાદ વિવાદ વધી ગયો છે. ઘણા રાજકીય આગેવાનોએ તેમના નિવેદનની ટિકા કરી છે. જો કે, વધતા વિવાદ વચ્ચે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ તેમણે આપેલા નિવેદન અંગે સ્પષ્ટતા કરી હતી. ગુજરાત છોડી દેવાના જીતુ વાઘાણીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, મારે કોઈના સર્ટિફિકેટની જરૂરિયાત નથી.


ગુજરાત અને દેશમાં રહીને દેશ વિરોધી વાતો કરવીએ અમુક લોકોનો સ્વભાવ છે. ગુજરાતને બદનામ કરવાને લઈને કાવતરું કરવાનું આ ષડયંત્ર છે.
આ ઉપરાંત મનીષ સીસોદીયાના ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, સપના જોવાનો બધાને અધિકાર છે. વાઈરલ થયેલી ક્લિપ અંગે તેમણે કહ્યુ કે, મારી વાતના ટૂકડા ટુકડા કરીને બતાવવામાં આવી રહી છે. ગુજરાતમાં દેશ વિરોધી માનસિકતા ચલાવી લેવામાં આવશે નહીં. 


આ ઉપરાંત તેમણે ઢોર નિયંત્રણ બિલને લઈને પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, કોઈને તકલીફ પડે તો એવું કામ અમે નથી કરવા માંગતા. આજે સીએમ હાઉસ ખાતે માલધારી સમાજના આગેવાનો સાથે મીટીંગ થઈ છે. યોગ્ય ઉકેલ ન આવે ત્યાં સુધી કાયદો સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.


ઈશુદાન ગઢવીએ આપી પ્રતિક્રિયા


જીતુ વાઘાણીના વિવાદિત નિવેદન મુદ્દે ઈશુદાન ગઢવીએ કહ્યું કે, ગુજરાતના વિદ્યાર્થીઓને ગુજરાત છોડીને ક્યાંય જવાની જરુર નથી. 8 મહિના પછી ગુજરાતમાં આપની સરકાર બનશે ત્યારે ગુજરાતમાં જ દિલ્હી જેવી શાળાઓ અને શિક્ષણ મળશે.


ભરતી પ્રક્રિયામાં અનામત અંગે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો


 ગુજરાત હાઇકોર્ટે ભરતી પ્રક્રિયામાં અનામત અંગે મહત્વનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદામાં ગુજરાત હાઇકોર્ટે કહ્યું કે કોઈ ભરતીમાં  અનામત કેટેગરીના ઉમેદવારે અનામતની છૂટછાટનો લાભ લીધો હોય તો તેને ઓપન કેટેગરીનો લાભ મળી શકે નહીં. ગુજરાત હાઇકોર્ટે કહ્યું કે મેરીટ હોય તો પણ અનામતની છૂટછાટ મેળવ્યા બાદ ઓપન કેટેગરીમાં સમાવિષ્ટ કરવા માટે અનામત કેટેગરીના ઉમેદવારોની રજુઆત ગ્રાહ્ય રાખી શકાય નહીં. 


હાઇકોર્ટે નીચલી અદાલતોમાં આસીટન્ટસની પોસ્ટ માટે જાહેરાત બહાર પાડી હતી. 100થી વધુ ઉમેદવારોએ આસિસ્ટન્ટની પોસ્ટ માટેની ભરતી પ્રક્રિયાના સિલેક્ટ લિસ્ટને હાઇકોર્ટમાં પડકાર્યુ હતું. પણ હાઇકોર્ટે આ અરજીને ફગાવી  હતી અને આ મહત્વનો ચુકાદો આપ્યો હતો. સાથે જ હાઇકોર્ટે આ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ ટાંક્યા હતા.