Gandhinagar: ચૂંટણી પહેલા જ 10થી વધુ બેઠક બિનહરિફનો ભાજપનો દાવો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Feb 2021 08:01 AM (IST)
નગરપાલિકાની વાત કરવામાં આવે તો આણંદ પાલિકામાં ભાજપના બે ઉમેદવારો બિનહરિફ વિજેતા થયાનો દાવો કરાયો છે.
(ફાઈલ તસવીર)
રાજ્યની જિલ્લા- તાલુકા પંચાયત અને નગરપાલિકાની 28મી ફેબ્રુઆરીના ચૂંટણી યોજાવાની છે. જોકે ચૂંટણી પહેલા જ જિલ્લા- તાલુકા પંચાયત અને પાલિકાની 10થી વધુ બેઠકો બિનહરિફ થયાનો ભાજપે દાવો કર્યો છે. ભાજપે બહાર પાડેલી યાદી મુજબ અમદાવાદ જીલ્લા પંચાયતની ભૂવાલડી અને સિંગરવા બેઠક પર ભાજપના ઉમેદવારો બિન હરિફ થયા છે. તો તાલુકા પંચાયતની સુબિર, ચોર્યાસી, બાબરા, કઠલાલની એક-એક બેઠકો બિન હરિફ થઈ છે. આ ઉપરાંત બાયડ તાલુકા પંચાયતની બે બેઠકો બિનહરિફ થઈ છે. જ્યારે નગરપાલિકાની વાત કરવામાં આવે તો આણંદ પાલિકામાં ભાજપના બે ઉમેદવારો બિનહરિફ વિજેતા થયાનો દાવો કરાયો છે. નોંધનીય છે કે, રાજયની 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકા અને 231 તાલુકા પંચાયતોની તા. 28 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટે આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાત ભરમાં ટિકીટ ફાળવણીને લઈને બંને પક્ષમાં ક્યાંયને ક્યાંય અસંતોષ ફેલાયો હતો. ત્યારે આજે અંતિમ દિવસે ખેંચાખેંચી વચ્ચે જ આખરી ચિત્ર સ્પષ્ટ થશે.