GANDHINAGAR:  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ૨૫ નવેમ્બરના રોજ જાપાન અને સિંગાપોરના પ્રવાસે જવા રવાના થશે. ૨૬ નવેમ્બરથી ૨ ડિસેમ્બર દરમિયાન ટોક્યો- કોબે-સિંગાપોરનો સાત દિવસનો પ્રવાસ રહેશે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં યોજાઈ રહેલી વાઇબ્રન્‍ટ સમિટ ૨૦૨૪માં ગુજરાત અને જાપાન વચ્ચે ઔદ્યોગિક-આર્થિક વિકાસની ભાગીદારીની નવી ક્ષિતિજો વિસ્તારવાના પ્રયાસના ભાગરૂપે આ પ્રવાસ રહેશે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિંગાપોરમાં ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની મુલાકાત કરશે. ટોક્યોમાં ગુજરાતી સમાજના લોકો સાથે પણ તેઓ મુલાકાત કરશે. ટોક્યોના ગવર્નર તેમજ JBICના ગવર્નરની સાથે પણ તેઓ મુલાકાત કરશે.મુખ્યમંત્રી જાપાનમાં ઉદ્યોગકારો સાથે વન ટુ વન બેઠક કરશે. તે સિવાય ટોકિયોની ઇમ્પિરિયલ હોટલ ખાતે રોડ શૉ યોજશે. 30 નવેમ્બરે કોબેના ગવર્નર અને મેયરની મુલાકાત લેશે. પહેલી ડિસેમ્બરે સિંગાપોર સરકારના અધિકારીઓ સાથે બેઠક કરશે. જીઆઈડીસીના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ગુપ્તાએ મુખ્યમંત્રીના જાપાન પ્રવાસ અંગેની વિસ્તૃત વિગતો આપી હતી.


તેમણે કહ્યું હતું કે ગુજરાતને ઉદ્યોગ, વેપાર અને ઉત્પાદન ક્ષેત્રે રોકાણકારો માટે ગ્લોબલ ડેસ્ટીનેશન બનાવનારી વાઇબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી એડીશન આગામી જાન્યુઆરી ૨૦૨૪માં યોજાવાની છે. જાપાન ૨૦૦૯થી આ વાઇબ્રન્‍ટ સમિટમાં પાર્ટનર કન્‍ટ્રી રહ્યું છે ત્યારે આગામી ૧૦મી એડીશનમાં પણ જાપાનનાં સહયોગને વ્યાપક ફલક પર વિસ્તારવામાં મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલનો આ જાપાન પ્રવાસ મદદરૂપ બનશે.


વધુમાં તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રી અને ગુજરાતનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ ૨૬ નવેમ્બરના રોજ ટોક્યોમાં વસતા ગુજરાતી સમાજના લોકો સાથેની મુલાકાતથી તેમના જાપાન-સિંગાપોર પ્રવાસની શરૂઆત કરશે. મુખ્યમંત્રી ગુજરાતી સમાજના લોકો સાથે વાતચીત કરશે અને જાપાનના વિકાસમાં તેમના યોગદાન અંગે જાણકારી મેળવશે. તે પછીના દિવસે એટલે કે ૨૭ નવેમ્બરના રોજ મુખ્યમંત્રી અને ગુજરાતનું પ્રતિનિધિમંડળ જાપાનના ટોક્યો ખાતે એમ્બેસીની ટૂંકી મુલાકાત લેશે.


જાપાન સરકાર, જાપાનના ઉદ્યોગો તેમજ જાપાનીઝ સંસ્થાઓની મુખ્યમંત્રી અને પ્રતિનિધિમંડળ મુલાકાત લેશે તથા પરસ્પર સહયોગના ક્ષેત્રો વિકસાવવા માટે પરામર્શ કરશે. આ દિવસે મુખ્યમંત્રી અને ગુજરાતનું પ્રતિનિધિમંડળ JETRO ના પ્રેસિડેન્ટ, ટોક્યોના ગવર્નર તેમજ JBICના ગવર્નરની પણ મુલાકાત લેશે. ૨૭ નવેમ્બરની સાંજે મુખ્યમંત્રી અને ગુજરાત પ્રતિનિધિમંડળ જાપાનમાં ભારતના રાજદૂત શ્રીયુત સીબી જ્યોર્જ દ્વારા ઇન્ડિયા હાઉસ ખાતે આયોજિત ગુજરાતનાં મુખ્યમંત્રીનાં માનમાં આયોજીત ડિનરમાં જોડાશે.


જાપાન પ્રવાસના પાંચમા દિવસે એટલે કે ૩૦ નવેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ કોબેના ગવર્નર અને મેયરની મુલાકાત લેશે. ત્યારબાદ મુખ્યમંત્રી અને ગુજરાતનું પ્રતિનિધિમંડળ જાપાનમાં વસતા ગુજરાતી સમાજના લોકો સાથેના ભોજન સમારોહમાં જોડાશે અને જાપાનમાં વિવિધ ક્ષેત્રે ભારતીય તથા ગુજરાતી સમુદાયનાં લોકોના યોગદાન અંગે ચર્ચા-પરામર્શ કરશે. ત્યારબાદ તેઓ ત્યાંથી સિંગાપોર જવા રવાના થશે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિંગાપોર સરકારના અધિકારીઓ સાથે વન-ટુ-વન બેઠકો કરશે. મુખ્યમંત્રી અને ગુજરાતનું પ્રતિનિધિમંડળ સિંગાપોર ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીની મુલાકાત પણ લેશે. ૨ ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી અને ગુજરાતનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સિંગાપોરમાં વિવિધ સાઇટ્સ વિઝિટ કરીને સિંગાપોરથી અમદાવાદ પરત આવવા રવાના થશે.