ગાંધીનગરઃ ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના એક નિવેદનને કારણે હાલ, અનેક રાજકીય તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે. તેમજ કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા નેતાઓમાં પણ ગણગણાટ શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં ગમે ત્યારે આઠ વિધાનસભાની પેટાચૂંટણી યોજાઇ શકે છે, તેવા સમયે જ પાટીલના નિવેદનથી અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.


ભાજપ પ્રમુખ સી.આ. પાટીલે ગુજરાત ભાજપનાં તમામ ધારાસભ્યો, સાંસદો અને પ્રદેશનાં પદાધિકારીઓ સાથે વેબીનાર યોજ્યો હતો. આ સમયે ભાજપમાં કોંગ્રેસના પ્રવેશ ઉત્સવ પર નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે નિવેદન આપતાં કહ્યું હતું કે, ભાજપના કાર્યકર્તાઓએ એવી સ્થિતિ ઉત્પન્ન ન થવા દેવી જોઈએ કે કોંગ્રેસના કાર્યકર્તાઓને જોડવા પડે. ભાજપના કાર્યકર્તાઓએ ગાંઠ બાંધવી જોઈએ કે જીત મેળવી છે તો કોઈની લાચારી ન અનુભવવી જોઇએ અને કોઈને લાવવાની જરૂરિયાત ઉભી ન થવી જોઈએ.