ગાંધીનગરઃ ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ નિમાયેલા સી.આર. પાટીલ કોંગ્રેસીઓ માટે ભાજપના દરવાજા બંધ કરવાની તૈયારી કરી રહ્યા હોય એવા સંકેત મળી રહ્યા છે. ભાજપ પ્રમુખ સી.આ. પાટીલે ગુજરાત ભાજપનાં તમામ ધારાસભ્યો, સાંસદો અને પ્રદેશનાં પદાધિકારીઓ સાથે વેબીનાર યોજ્યો હતો.


આ વેબિનારમાં ભાજપમાં કોંગ્રેસના પ્રવેશ ઉત્સવ પર નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે નિવેદન આપતાં કહ્યું હતું કે, કોંગ્રેસના કાર્યકરોને કે નેતાઓને ભાજપમાં લેવાથી જ ભાજપ જીતે છે એવી માન્યતા તોડવી જરૂરી છે અને ભાજપના કાર્યકરોએ એવી સ્થિતિ ઉત્પન્ન ન થવા દેવી જોઈએ કે કોંગ્રેસના કાર્યકરોને ભાજપ જોડવા પડે. ભાજપના કાર્યકરોએ ગાંઠ બાંધવી જોઈએ કે, જીત મેળવવા માટે કોઈની લાચારી ન અનુભવવી જોઇએ અને કોઈને લાવવાની જરૂરિયાત ઉભી ન થવી જોઈએ.

સી.આર. પાટિલે સ્પષ્ટ રીતે કહી દીધું છે કે, કોંગ્રેસના ભરોસે ચૂંટણી જીતવાના બદલે ભાજપે પોતાની તાકાત પર જ ચૂંટણી જીતવી જોઈએ. પાટિલના આ નિવેદનને આડકતરી રીતે કોંગ્રેસના નેતાઓ માટે ભાજપના દરવાજા બધ કરી દેવાના સંકેત તરીકે જોવામાં આવે છે.