ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આજે એન્ટીજન અને આરસી-પીસીઆર એમ બે ટેસ્ટ કરાવ્યા છે. તેમનો એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. જોકે, આરસી-પીસીઆરનો રિપોર્ટ આવવાનો બાકી છે. આ અંગે એબીપી અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં સી.આર. પાટીલે વાતચીત કરી હતી.


એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, તેમણે આજે સવારે 11 વાગ્યે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો છે. તેમના કેટલાક સાથીઓને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેમજ તેમને દિલ્લી પણ જવાનું હોવાથી આજે તેમણે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો છે. તેમનો એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.

નોંધનીય છે કે, તેઓ હાલ, ગાંધીનગર એપોલો હોસ્પિટલમાં હાજર છે. જોકે, તેમને કોરોના કોઈ જ લક્ષણ નથી. પરંતુ તેમને આગામી દિવસોમાં દિલ્લી અને પાર્લામેન્ટમાં જવાનું હોય અને પાર્લામેન્ટમાં પ્રવેશ માટે કોરોના નેગેટિવના સર્ટિફિકેટ આપવાના હોય, તેમણે ટેસ્ટ કરાવ્યો છે.