ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા ચારેક દિવસથી તો કોરોનાના દૈનિક કેસો 1300ને પાર થઈ ગયા છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના કેટલાય નેતાઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. ત્યારે ભાજપના ટોચના નેતાને કોરોનાનો ચેપ લાગ્યો છે. ભાજપ પ્રવક્તા ભરત પંડ્યા કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમને કોરોના પોઝિટિવ આવતાં યુ. એન. મહેતામાં સારવાર માટે દાખલ કરાયા છે. તાવ બાદ ગઈ કાલે રાત્રે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.


નોંધનીય છે કે, કમલમમાં કાર્યાલય મંત્રી પરેશ પટેલ સહિત અન્ય બે કર્મચારી પણ કોરોનાથી સંક્રમિત થયા છે. હવે કોરોનાનું સંક્રમણ વધ્યુ છે ત્યારે ભાજપના નેતાઓ પણ કમલમમાં આવતા ડરી રહ્યાં છે. આ ઉપરાંત ભાજપના વધુ એક સાંસદ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. અમદાવાદ પશ્ચિમના સાંસદ બાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

સોમવારે લક્ષણ જણાતા હસમુખ પટેલે ટેસ્ટ કરાવ્યો હતો. હસમુખ પટેલના પત્નીને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. હસમુખ પટેલ પોતાના ઘરે હોમ આઇસોલેટ થયા છે. હસમુખ પટેલ સોમવારે કોરોના વિજય રથ પ્રસ્થાનના ઉદ્ઘાટનમાં ગયા હતા. નોંધનીય છે કે, અત્યાર સુધીમાં ગુજરાતમાં ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પોરબંદરના સાંસદ રમેશ ધડૂક, રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને સાંસદ કિરીટ સોલંકી કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.

એટલું જ નહીં, ગુજરાતમાં કેટલાય ધારાસભ્યો અને કોર્પોરેટરો પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.