ગાંધીનગરઃ આગામી 3 નવેમ્બરે ગુજરાતમાં ખાલી પડેલી 8 વિધાનસભાની બેઠકો માટે પેટાચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપતાં આ આઠ બેઠકો ખાલી પડી છે. ત્યારે પાટીદાર આંદોલનના નેતા દિનેશ બાંભણીયાએ પેટાચૂંટણી લડવાની જાહેરાત કરી છે.


પાટીદાર નેતા દિનેશ બાંભણીયાએ પત્રકારો સાથેની વાતચીતમાં સૌરાષ્ટ્રની પાટીદારોના વર્ચસ્વ ધરાવતી ધારી અને મોરબી બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ત્યારે હવે આ બે બેઠકો પર ચૂંટણીનો જંગ રોચક બનશે.



રાજ્યમાં ખાલી પડેલી આઠ વિધાનસભાની પેટાચૂંટણી માટેની તારીખ ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવી છે. આગામી 3 નવેમ્બરના રોજ આ આઠ બેઠકો માટે મતદાન યોજાશે. તેમજ 10મી નવેમ્બરે આ ચૂંટણીનું પરિણામ જાહેર થશે.

નોંધનીય છે કે, ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણી પહેલાં 8 ધારાસભ્યોએ પંજો છોડી કેસરિયો ધારણ કરીને રાજીનામાં આપ્યા હતા. જેના કારણે હાલ આ બેઠકો ખાલી પડી છે. અબડાસા - પ્રધ્યુમન જાડેજા, ડાંગ - મંગળ ગાવિત, કપરાડા - જીતુ ચૌધરી, કરજણ - અક્ષય પટેલ, ગઢડા - પ્રવિણ મારુ, ધારી - જે.વી. કાકડીયા, લીંબડી - સોમા પટેલ, મોરબી - બ્રિજેશ મેરજા ના રાજીનામાથી ખાલી પડેલ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે.

ગુજરાતમાં યોજાનારી પેટા ચૂંટણી પહેલા જ કોંગ્રેસ એક્શન મોડમાં આવી છે. ગુજરાત કંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ આગામી બે દિવસ રાજ્યમાં ખાલી પડેલી 8 બેઠકો અંગે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા સાથે બેઠક યોજશે. આ ઉપરાંત 8 બેઠક પરના નિરીક્ષકો સાથે પણ પ્રભારી રાજીવ સાતવ મીટિંગ કરશે. જ્યારે બુધવારે જિલ્લા પંચાયતના પ્રમુખ અને સભ્યો તેમજ વોર્ડ નિરીક્ષકો સાથે બેઠક કરવામાં આવશે. પેટાચૂંટણી બાદ યોજાનારી મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીઓ અંગે પણ ચર્ચા થશે.

નોંધનીય છે કે, ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ તાજેતરમાં જ તમામ આઠ બેઠકો જીતવાનો દાવો કર્યો હતો.