રાજ્ય સરકાર દ્વારા ચાર મોટાં શહેરોમાં કરફ્યૂની જાહેરાત કરાતાં હવે આ ચાર શહેરોમાં લોકડાઉન આવશે એવી ચર્ચાઓ લોકોમાં ચાલી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અફવાઓને ખોટી ગણાવીને કહ્યું છે કે, ગુજરાતમાં લોકડાઉન લગાવવાનું કોઇ પ્લાનિંગ નથી અને હવે લોકડાઉન લાદવામાં આવશે એવી વાતો માત્ર અફવા છે.
મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં કોરોનાના કેસોમાં મોટો વધારો થતાં શહેરમાં તકેદારીના ભાગરૂપે કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. તેના કારણે કોરોનાનું સંક્રમણ ઘટશે અને કેસોમાં ઘટાડો થશે પણ તેનો અર્થ એ નથી કે, હવે લોકડાઉન લાદવામાં આવશે. અમદાવાદમાં 20 નવેમ્બરથી રાતે 9 વાગ્યાથી 23 નવેમ્બર ને સોમવારે સવારે 6 વાગ્યા સુધી 57 કલાકના કરફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. ત્યાર પછી સોમવારથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રોજ નાઈટ કરફ્યૂ ચાલુ રહેશે. સુરત, વડોદરા અને રાજકોટ એ ત્રણ શહેરોમાં પણ નાઈટ કરફ્યુ ચાલુ જ રહેશે.
કરફ્યુના સમયમાં માત્ર દૂધ અને દવા તથા આવશ્યક ચીજવસ્તુ જ મળશે જ્યારે બાકી તમામ દુકાનો બંધ રહેશે. ગુજરાત સરકાર વતી અધિક મુખ્યસચિવ રાજીવકુમાર ગુપ્તાએ ગુરૂવારે પહેલાં અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરી હતી અને રાત્રે 10 વાગ્યે 57 કલાકના કર્ફ્યૂની જાહેરાત કરી હતી. આ ઉપરાંત શનિ-રવિ દરમિયાન સંપૂર્ણપણે વાહનવ્યવહાર પણ બંધ રહેશે.