ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસો 10 હજારની આસપાસ થઈ ગયા છે. કોરોનાના વધી રહેલા કેસોના  કારણે લોકોમાં ભારે ફફડાટ છે ત્યારે ગુજરાત સરકાર પણ કોરોનાના વધતા કેસોને રોકવા માટે એક પછી એક નિયંત્રણો લાદી રહી છે. તેના ભાગરૂપે ગુજરાતમાં ‘મિનિ લોકડાઉન’ લદાશે એવી અટકળો ચાલી રહી છે. રાજ્ય સરકારનાં સૂત્રોના મતે, 16 જાન્યુઆરીની સાંજ સુધીમા તેની જાહેરાત કરી દેવાશે.


ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા 7 જાન્યુઆરીએ નાઇટ કર્ફ્યૂની મુદતમાં વધારો  સહિતની ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી હતી. આ નિયંત્રણોની 15 જાન્યુઆરીએ મુદત પૂર્ણ થઈ ગઈ છે.   ઉત્તરાયણ ને 14 જાન્યુઆરીએ નવાં નિયંત્રણો જાહેર થવાની શક્યતા હતી પણ બે દિવસની રજાના કારણે જાહેરાત થઈ નથી. હવે રવિવારે નવા નિયમો તથા ગાઈડલાઈનની જાહેરાત થાય એવી શક્યતા છે.  આ નવી ગાઈડલાઈનમાં કોરોનાના વધતા કેસોને રોકવા માટે ગુજરાતમાં ‘મિનિ લોકડાઉન’ જેવાં આકરાં નિયંત્રણો લદાશે એવી ચર્ચા છે.


સરકારના સૂત્રોએ આપેલા સંકેત પ્રમાણે ગુજરાત સરકારની નવી ગાઇડલાઇન્સમાં નાઇટ કર્ફ્યૂ હલના રાતના 10 વાગ્યાને બદલે 9 વાગ્યાથી અમલી બને એવી શક્યતા છે. નાઈટ કરફ્યુ સવારના 6 વાગ્યા સુધી કરવામાં આવે એવી શક્યતા છે.


બીજી લહેર વખતે રોજના 2000 કેસ આવવા લાગતાં જ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એ ચાર 4 મહાનગરમાં રાતના 9થી સવારના 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લાદી દીધો હતો.  ત્રીજી લહેરમાં હવે 10 હજાર જેટલા કેસ આવી રહ્યા હોવાથી નાઇટ કર્ફ્યૂ રાત્રે 9થી સવારના 6 વાગ્યાનો થવાની શક્યતા છે.


હાલ 8 મહાનગરો ઉપરાંત નડિયાદ અને આણંદ મળીને કુલ 10 શહેરમાં નાઇટ કર્ફ્યૂ અમલી છે.  નવી ગાઇડલાઇન્સમાં બીજાં 10 શહેરોનો સમાવેશ કરાશે. હાલમા જે શહેરોમાં સંક્રમણ વધી રહ્યું હોય એવાં શહેરોનો પણ નઈટ કરફ્યુનાં શહેરોમાં ઉમેરો થઈ શકે છે.


કોરોનાના કેસો વધી રહ્યા હોવાથી રાજ્ય સરકાર કોરોનાના વધી રહેલા કેસોનું સતત મોનિટરિંગ કરી રહી છે અને દિવસે દિવસે નિયંત્રણો પણ કડક કરી રહી છે. રાજ્ય સરકારે તમામ સરકારી કર્મચારીઓ માટે 15 જાન્યુઆરીએ એટલે કે શનિવારે રજા જાહેર કરી હતી.