અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસોમાં ધરખણ ઘટાડો નોંધાયો છે. કોરોનાના કેસોની સંખ્યા ઘટતાં જ ગુજરાત સરકારે રાત્રિ કરફ્યુ સહિતના નિયંત્રણો હળવા કર્યા છે. આ નિયંત્રણોનો અમલ 27 જૂનથી એટલે કે રવિવારથી થશે. ગુજરાત સરકારે લીધેલા નિર્ણય પ્રમાણે હાલમાં કુલ 36 શહેરોમા નાઈટ કરફ્યુનો અમલ છે. આ  પૈકી 18 શહેરોમાંથી રાત્રી કરફ્યુ હટાવી લેવાયો છે જયારે 18 શહેરોમાં રાત્રી કરફ્યુના નિયંત્રણ યથાવત રાખવામાં આવ્યા છે.  


ગુજરાત સરકારે લીધેલા નિર્ણય પ્રમાણે વિસનગર, કડી, ડીસા, મોડાસા, રાધનપુર, વેરાવળ, સોમનાથ, પાલનપુર, હિમતનગર, અમરેલી, સુરેન્દ્રનગર, દાહોદ, આણંદ, નડિયાદ અને ગોધરા એ 18 શહેરોમાં રાત્રિ કરફ્યુ હટાવી લેવાયો છે. આ શહેરોમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાતાં આ છૂટ આપવામાં આવી છે.


જોકે, આ કર્ફ્યૂ મુક્ત થયેલા 18 શહેરોને લઈને સરકારે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યના કર્ફ્યુ સિવાયના તમામ વિસ્તારોમાં દુકાનદારો, મોલ, રેસ્ટોરન્ટ, પાર્લર સહિતની વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી ૧૦ જુલાઇ સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે. વેક્સિનેશન નહિ લેનાર એકમોને બંધ કરવામાં આવશે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ જણાવ્યું હતું.

નાઇટ કર્ફ્યૂવાળા ૧૮ શહેરોમાં દુકાનદારો, મોલ, રેસ્ટોરન્ટ, પાર્લર સહિતની વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી ૩૦ જૂન સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે. વેક્સિનેશન નહિ લેનાર એકમોને બંધ કરવામાં આવશે.  


આ ઉપરાંત રૂપાણી સરકાર દ્વારા રાત્રિ કરફ્યૂના સમયમાં એક કલાકનો ઘટાડો કરાયો છે. ગુજરાત સરકારે લીધેલા નિર્ણય પ્રમાણે  18 શહેરોમાં રાત્રિ કરફ્યુની સમય મર્યાદા રાત્રિના 10 કલાકથી સવારના 6 વાગ્યા સુધી કરવામાં આવી છે.


રાજ્ય સરકારે ગુજરાતનુ જનજીવન ધમધમતુ થાય અને આર્થિક પ્રવૃત્તિઓ ફરી  શૂ થતાં લોકોને રાહત થાય તે માટે રાત્રી કરફ્યુ સહિતના નિયંત્રણો હળવા કર્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને ગુરૂવારે મળેલી કોર કમિટીએ આ નિર્ણય કરાયો હતો. આ નિર્ણયથી સામાન્ય જનતાથી માંડીને વેપારીઓ સુધી તમામ લોકોએ ભારે  રાહત અનુભવી છે.